નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી અગાઉ સવર્ણ જાતિઓને 10 ટકા અનામતની જાહેરાત કર્યા પછી કેન્દ્રની મોદી સરકાર સવર્ણોના મતોને અંકે કરવા માટે મહત્વની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગરીબ સવર્ણ વર્ગના લોકો માટે આરક્ષણ પછી હવે મોદી સરકાર મધ્યમ વર્ગને ઇન્કમ ટેક્ષમાં મોટી છૂટ આપવાની જાહેરાત કરવાની સાથોસાથ હોમ લોનમાં પણ રાહત આપવાની તૈયારી કરી રહી છે.
બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ કેન્દ્ર સરકાર આ જાહેરાત આગામી લેખાનુદાન (વચગાળાના બજેટ) ૨૦૧૯ દ્વારા કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, આશરે ત્રણ સપ્તાહ પછી કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી આ લેખાનુદાન (વચગાળાનું બજેટ) રજૂ કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ નાણામંત્રી ઇન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80-સી અંતર્ગત ટેક્સ સ્લેબમાં મોટું પરિવર્તન કરવાની જાહેરાત કરી શકે છે. આ સાથે જ કેન્દ્ર સરકાર પેન્શનધારકોની માટે વધારાની ટેક્સ રાહત આપવાની સાથોસાથ હોમ લોનમાં ઘટાડો કરવાની પણ જાહેરાત કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, આ ભેટ મારફત એપ્રિલ-મે મહિનામાં યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણીમાં સરકાર મધ્યમ વર્ગના મતો અંકે કરવાનું કામ કરશે. કેટલાક આર્થિક જાણકારોનું માનવું છે કે, નાણામંત્રી અરૂણ જેટલી કેટલાક મહત્વના ઉત્પાદનોની કસ્ટમ ડ્યુટીમાં પણ ઘટાડો કરીને ગ્રાહકોની સાથે વેપારીઓને પણ ફાયદો પહોંચાડવાનો નિર્ણય કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ હેતુને ધ્યાનમાં રાખીને નાણા મંત્રાલયની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.
આમ કેન્દ્રની મોદી સરકાર દ્વારા આગામી લોકસભાની ચૂંટણી જીતવા માટે સવર્ણોને 10 ટકા અનામતની જાહેરાત કર્યા પછી વચગાળાના બજેટ (લેખાનુદાન)માં ઇન્કમ ટેક્સના સ્લેબમાં ઘટાડો કરીને રાહત આપવા ઉપરાંત હોમ લોનના વ્યાજમાં પણ રાહત આપવા અંગેની જાહેરાત કરવામાં આવી છે.