અમદાવાદ: કોંગ્રેસના ગઢ મનાતા જસદણની પેટા ચૂંટણીમાં BJP માં જોડાઈને ગણતરીના કલાકોમાં કેબિનેટ મંત્રીપદ મેળવનાર કુંવરજી બાવળિયા અને કોંગ્રેસમાંથી બાવળિયાના જૂના સાથી એવા અવસર નાકિયા વચ્ચે જંગ ખેલાશે. આ પેટા ચૂંટણી જીતવા માટે BJP અને કોંગ્રેસ બંને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
બીજેપી દ્વારા આ ચૂંટણી જીતવા માટે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રીઓ સહીત 35 જેટલા સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવા આવશે. કોંગ્રેસ દ્વારા પણ પોતાના ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે.
ગુજરાતમાં હાલ જસદણ પેટા ચૂંટણીને કારણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસીવાળો માહોલ સર્જાયો છે. ભાજપ તરફથી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા છે, તો તેના હરીફ ઉમેદવાર તરીકે કોંગ્રેસમાંથી અવસર નાકિયા વચ્ચે ખરાખરીનો જંગ થવાનો છે.
આ સંજોગોમાં જસદણની પેટા ચૂંટણીનો જંગ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો માટે જીતવો ખૂબ મહત્વનો બની ગયો છે. કારણ કે, જસદણને કોંગ્રેસનો ગઢ માનવામાં આવી રહ્યો છે અને આ બેઠક ઉપરથી અત્યાર સુધી કોંગ્રેસમાંથી લડતા કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાઈને કેબિનેટ મંત્રી બની ગયા છે અને હવે તેઓ જસદણ બેઠક ઉપરથી બીજેપીમાંથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે.
જેના કારણે આ પેટા ચૂંટણી કુંવરજી બાવળિયા ઉપરાંત બીજેપી માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે. જેથી કોંગ્રેસના ગઢ સમાન એવી જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જીતવા માટે ભાજપે હવે સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે. જેના અંતર્ગત મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, કેન્દ્રીય મંત્રીઓ સહિતના ભાજપી નેતાઓને ચૂંટણી પ્રચાર માટે ઉતારશે. એટલું જ નહિ કોંગ્રેસના ગઢ એવા જસદણમાં જીત મેળવવા એડીચોટીનું જોર લગાવશે.
ભાજપના ક્યાં નેતાઓ જસદણની પેટા ચૂંટણીમાં કરશે પ્રચાર
જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા માટે ભાજપ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, કેન્દ્રીય મંત્રીઓ પરશોત્તમ રૂપાલા, સ્મૃતિ ઈરાની, મનસુખ માંડવિયા, પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ ઉપપ્રમુખ આઈ.કે. જાડેજા, ઉપરાંત રાજ્યના મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રણછોડભાઈ ફળદુ, સૌરભ પટેલ, જયેશ રાદડિયા, વાસણભાઈ આહીર, વિભાવરી દવે, ઉપરાંત સાંસદો પરેશ રાવલ, ભારતી શિયાળ, રાજેશ ચુડાસમા જેવા સ્ટાર પ્રચારકો જસદણમાં આવીને ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા માટે પ્રચાર કરશે.
આ ઉપરાંત ગુજરાતી ફિલ્મ સ્ટાર્સ હિતુ કનોડિયા અને નરેશ કનોડિયા પણ પ્રચાર કરશે. આમ જસદણની પેટા ચૂંટણીમાં પ્રચાર માટે કુલ 35 નેતાઓની ટીમનું લિસ્ટ બનાવ્યું છે. જે નીચે મુજબ છે.
કોંગ્રેસના ગઢ સમાન જસદણની પેટાચૂંટણીને જીતવા માટે અને પોતાની આબરૂ બચાવવા માટે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે ભાજપનો સ્ટાર પ્રચારકોને પ્રચાર માટે ઉતારવાનો કીમિયો સફળ રહેશે કે નહીં તે તો પરિણામ આવ્યા બાદ જાણી શકાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક તરફ ભાજપ અહીં કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડીને પોતાનું આબરૂ બચાવવા માટે ઈચ્છે છે, તો બીજી તરફ કોંગ્રેસ પોતાના ગઢ જાળવી રાખવાની વેતરણમાં છે. આ પેટા ચૂંટણી જીતવા માટે ભાજપ કોંગ્રેસ બંનેએ એડી ચોટીનું જોર લગાવ્યું છે. જેના ભાગરૂપે આ વખતે કોંગ્રેસ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ પેટા ચૂંટણી જીતવા માઈક્રો પ્લાનિંગ કર્યું છે.
જસદણમાં કોંગ્રેસ આ નેતાઓ પ્રચાર માટે ઉતરશે
આ પેટા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ દ્વારા ધારાસભ્યો સહિત મોટા નેતાઓને જિલ્લા પંચાયત બેઠકો અને ગામડાઓની જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણી જીતવા માટે પહેલી વાર આટલું માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે.
આ જસદણ વિધાનસભા બેઠક વિસ્તારમાં કોળી અને પાટીદાર સમાજના મતદારોનું પ્રભુત્વ છે. જેના અંતર્ગત ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ દ્વારા સ્થાનિક કોળી અને પાટીદાર મતદારોને આકર્ષવા માટે બંને સમાજના દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારીને તેમની મદદ લીધી છે.
કોંગ્રેસ દ્વારા વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, વિરજી ઠુમર, પ્રતાપ દૂધાત, બ્રિજેશ મેરજા, ચિરાગ કાલરિયા, લલિત કગથરા, લલિત વસોયા જેવા પાટીદાર ધારાસભ્યોને રીજવવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે.
જયારે વિસ્તારના કોળી મતદારોને આકર્ષવા માટે પૂંજા વંશ, સોમાભાઈ પટેલ, રાજેશ ગોહિલ અને ઋત્વિજ મકવાણા, વિમલ ચુડાસમા જેવા કોળી ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે. એટલું જ નહિ, આ તમામ ધારાસભ્યોને કોળી મતદારોને કોંગ્રેસ સાથે રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે.