પટના: લોકસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને બિહારમાં મહાગઠબંધનના પક્ષના મુખ્ય નેતાઓની પહેલી ઔપચારિક બેઠક આજે સોમવારે પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવના નિવાસસ્થાને મળવાની છે. આ બેઠકમાં લોકસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણીની ફોર્મૂલાને આખરી ઓપ આપવામાં આવશે.
બિહારમાં લોકસભાની કુલ 40 બેઠકો છે. આ બેઠકમાં RLSP અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા, વિકાસશીલ ઇન્સાન પાર્ટી (વીઆઈપી)ના અધ્યક્ષ મુકેશ સહાની, હિંદુસ્તાન અવામ મોર્ચાના અધ્યક્ષ જીતનરામ માંઝી, કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા સદાનંદ સિંહ અને પ્રદેશ અધ્યક્ષ મનમોહન ઝા, લોકતાંત્રિક જનતા દળ (એલજેડી)ના પ્રદેશ અધ્યક્ષ રમઈ રામ સામેલ થશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ તા. ૯ જાન્યુઆરીએ બિહાર મહાગઠબંધનની રૂપરેખા નક્કી કરવામાં કોંગ્રેસની શું ભૂમિકા હશે? તે નક્કી કરવા બિહાર કોંગ્રેસના નેતાઓને દિલ્હી બોલાવ્યા છે. જેને લઈને આ બેઠક ખૂબ મહત્વની ગણવામાં આવી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી આ બેઠક દ્વારા અન્ય પક્ષોનું વલણ કેવું છે તે જાણવાનો પણ પ્રયત્ન કરશે.
કોંગ્રેસે કહ્યું- બેઠકોના તાલમેલમાં કોઈ પ્રોબ્લેમ નથી
બિહારમાં મહાગઠબંધન અને કોંગ્રેસનું કહેવું છે કે, બેઠકોના તાલમેલમાં કોઈ પ્રોબ્લેમ નથી. આ મામલે યોગ્ય સમયે જ નિર્ણય લઈ લેવામાં આવશે. કોંગ્રેસના રાજ્ય પ્રભારી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આ મામલે એવું નક્કી થયું છે કે, આવતા સપ્તાહમાં કોઈ પણ દિવસે આરજેડી, કોંગ્રેસ અને અન્ય સહયોગી દળના નેતાઓની બેઠક કરવામાં આવશે. જોકે એવું પણ નથી કે, આ એક બેઠકમાં બધુ જ નક્કી કરી દેવામાં આવશે.
બિહાર લોકસભા ચૂંટણી 2014 ના પરિણામ મુજબ બેઠકો
કુલ સીટ- 40 છે. જેમાંથી વર્ષ ૨૦૧૪માં BJP ને 22, LJP ને 6, RJD ને 4, કોંગ્રેસને 2, JDU ને 2, RLSP ને 3, NCP ને એક બેઠક મળી હતી.