દેશમાં કેટલાય તેવા સેક્ટર છે કે, જે પ્રોફેશનલ હોવા છતાં તેના પર સામાજિક, આર્થિક અને રાજકીય જવાબદારીઓ રહેલી હોય છે. તેવામાં આ સેક્ટર્સે પ્રજાહિત, દેશહિત અને સેવાઓને સાઈડમાં કરી 100 % પ્રોફેશનલ ન જ બની શકે. હા, તે વાતમાં દમ છે કે, સોર્સ ઓફ ઈન્ક્મ વગર કોઈ સંસ્થા કે વ્યક્તિ સર્વાઇવ ન જ કરી શકે. દેશમાં કોરોના કાળ માં હોસ્પિટલ્સ અને ક્યાંક ડોક્ટર્સ ની સેવાઓ અને સામાજિક જવાબદારીઓ બખૂબી નિભાવી છે. આ માટે ક્યાંક તેમને સેલ્યુટ કરવાનું મન પણ થઇ જાય તે પ્રકારે મેડિકલ જગતે દિન-રાત જોયા વગર લોકોની જિંદગીઓ પોતાના જીવ જોખમમાં મૂકી બચાવી છે. તો ક્યાંક મુઠ્ઠીભર ડોક્ટર્સ કે હોસ્પિટલે તેમની મનમાની કર્યાના પણ બનાવો બન્યા હતા. ત્યારે કહેવાનો આશય છે કે, શિક્ષણ જગત, મેડિકલ જગત અને હવે બેંકો પણ દેશભરમાં ચર્ચામાં છે.
એક સમયે જે બેંકોનું ગઠન સામાજિક જવાબદારીઓના નિભાવ માટે થયું હતું અને તે પ્રાઇવેટ હાથો માં સુરક્ષિત ન જણાતા તેને ઇન્દિરા ગાંધીએ સરકારી હસ્તક લઇ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. તે જ બેંકોના બચાવ અને નિભાવ માટે આજે ફરી એકવાર દાયકાઓ બાદ મોદી સરકાર પ્રાઇવેટ હાથોમાં સોંપવા માંગે છે. ત્યારે આ ખાનગીકરણ ના વિરોધના પગલે દેશભરમાં બેંકોના 10 લાખ જેટલા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. જે મુદ્દે સરકારનું કહેવું છે કે, અગર આ પગલું ભરવામાં નહીં આવે તો, કર્મચારીઓના પગાર આપવા પણ મુશ્કેલ થઇ જશે.
વિશેષમાં આ અંગે અગાઉ એક વેબિનાર માં પણ મોદીજીએ જણાવ્યું હતું કે, સરકારને નુકસાન થઇ રહ્યું છે, અને કરદાતાઓના નાણાં પણ બરબાદ થઇ રહ્યા છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે, જયારે સાર્વજનિક ઉપક્રમો ની શરૂઆત થઇ હતી ત્યારે, તેની જરૂર હતી, પરંતુ વર્તમાન સમયમાં તેની જરૂરિયાત નથી. વ્યવસાય કરવો તે સરકારનું કામ નથી. સરકારનું ધ્યાન જનકલ્યાણ પર હોવું જોઈએ. લોકોના નાણાંનો યોગ્ય વપરાશ થાય તે માટે ખનગીકરણને પ્રોત્સાહન આપવામાં આવે છે.
તો બીજી તરફ પ્રાપ્ત જાણકારી મુજબ, બેંકોમાં સામાન્ય નાગરિકોના લગભગ 127 લાખ કરોડ જેટલા નાણાં પડેલા છે. તો બીજી તરફ બેડ લોન્સ ની રકમ પણ ઘણી મોટી થતી જઈ રહી છે. બેંકોની હાલના તબક્કે સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો તે છે નોન પર્ફોમીંગ એસેટ્સ કે જે લગભગ 15 લાખ કરોડ જેટલી જંગી છે. ત્યારે આટલી જંગી રકમ પરત મેળવવા શું કરવામાં આવશે? ક્યાં કડક કાયદા બનાવવાના છે? કે પછી હવે બધી જવાબદારીઓ બેંકોનું ખાનગીકરણ કરી તેમને હવાલે કરવામાં આવશે? તે એક પ્રશ્નાર્થ છે. અગર આ રકમનો માંડવાળ કરવામાં આવે તો તે દેશની 140 કરોડ જેજેટલી પ્રજા સાથે ભારોભાર અન્યાય થયો ગણાશે.
દુઃખી અને ભગ્ન હર્દયે લોકો તેથી જ સવાલ કરી શકે છે કે, શું બેંકો પર અમે વિશ્વાસ મુક્યો તે જ અમારો વાંક હતો? વિજય માલ્યા હોય કે, નીરવ મોદી કે તેના જેવા અન્ય લોકો પરંતુ જમીની સચ્ચાઈ તો તે જ છે કે, આ લોકોને નાણાં ધીરવામાં મનમાની, ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ તો આચરવામાં આવી જ છે. તેના વગર તો તે લોકો આટલી જંગી લોનો ન જ મેળવી શક્યા હોત. અન્યથા આ કૌભાંડો બાદ ક્યાં બેંકોના વડાઓ સામે કડક પગલાં ભરવામાં આવ્યા ??.
સરકાર સામે અત્યારે વિરોધ અને હડતાલો કરી રહેલ કર્મચારીઓ ને લોકો પુછે કે કે, નોટબંધી વખતે કેમ કોઈક કરોડપતિ, સ્થાનિક કોર્પોરેટર્સ કે નેતાઓ કે લાગેવળગતા લોકો ક્યાંક બેંકોની લાઈનમાં ન હતા.? ત્યારે શું તે લોકોને આ સમયે બેન્કોની જરૂર નોતી પડી? બારોબાર કરોડો જૂની નોટો સગેવગે થઇ ગઈ? જેવા અંશે પેચીદા સવાલો છે. જે લોકોના મનમાં ઘૂમરાય છે. અને વાતમાં તથ્ય પણ છે કે, બેંકોનું વર્તન હંમેશા સામાન્ય માણસો સાથે શંકાસ્પદ રહ્યું છે. સામાન્ય માણસ જરૂરત સમયે બેન્કમાંથી લોન લેવા ફાંફા મારે છે અને કેટલાય ડોક્યુમેન્ટ્સ એકઠા કરે છે ત્યારે તે લોન ને પાત્ર બને છે.
સરકાર કદાચ આ મામલે નાદાન હશે પરંતુ પ્રજાનો તો અનુભવ બોલે છે. અન્યથા આ પણ ખરા અર્થમાં તો એક સેવા ક્ષેત્ર જ છે કે જે સામાન્ય માણસ નો મુશ્કેલીમાં હાથ પકડી બેઠા થવામાં મદદ કરે છે. નિસહાય લોકો માટે બેન્કો તારણહાર બનવી જોઈતી હતી. અને અગર આમ ચાલ્યું હોત તો આજે નાના-મોટા ધંધાઓ બેહાલ ન હોત. કેમ કે, બેંકો લોનો આપે છે તો પણ તેમાં મદદની બૂ ને બદલે કમાઈ લેવાનો મનસૂબો જ જણાય છે. તેથી જ આજે સામાન્ય જન લાચાર છે. અને ગરીબ કે ભિક્ષુક બની ચુક્યો છે.
ત્યારે સરકાર ખાનગીકરણ કરી લોન આપવાની સિસ્ટમમાં ધરમૂળ બદલાવ લાવી શકે તો સારું જ થશે. બીજું કે, ખાનગીકરણમાં પણ ક્યાંક ડર તો છે જ અને તે પણ નાના લોકોની જરૂરિયાત અને વ્યાજદરો નો ડર છે. તે સાથે જ બચત દર પર જે લાખો વૃદ્ધો અને સામાન્ય પરિવારો નભે છે તે બચતના દરો પર પણ પ્રાયવેટ સેકટરની બેંકો ની નીતિનો ડર રહેશે. મતલબ કે વ્યાજદર નહિવત કરી લોકોનું બ્લેકમેઈલિંગ કરવામાં આવશે તો ?? જેવા ભયસ્થાનો પણ છે.
પરંતુ ખાડે ગયેલ બેંકોના વહીવટ પર કાબુ મેળવવા સરકારે ન છૂટકે ખાનગીકરણ નો રસ્તો અપનાવવો પડી રહ્યો છે. અને સામાન્ય લોકો પણ બેંકો ના વ્યવહાર અને વર્તન થી નિરાશ તો છે જ..અને આ સ્થિતિને લીધે જ સરકાર ગમે તેટલા પ્રયાસો કરશે પરંતુ લોકો વ્હાઇટ માં વ્યવહારો કરવાનું ટાળે છે. તેમને બેન્કિંગ સેક્ટર પર ભરોસો નથી. લોનો ની ગેરરીતો અને નોટબંધી બાદ ખાસ આ સ્થિતિનું નિર્માણ થયું છે. અને હજી પણ આગામી સમયમાં ફડચાઓમાં જતી બેંકો અને ઈંસોલ્વન્સી ના નિયમોને કારણે લોકો બેન્કોને વિશ્વાસપાત્ર નથી માની રહ્યા. તે ન ભુલાય. ત્યારે સરકારે હવે સાપ મરે નહિ અને લાઠી પણ ન ભાંગે તેમ કોઈ વ્યવસ્થા બેન્કિંગ મામલે કરવી પડશે. અન્યથા દેશના અર્થતંત્રના શું હાલ હવાલ થશે તે કોઈ અર્થશાસ્ત્રી નહીં જણાવી શકે.
@રીના બ્રહ્મભટ્ટ, કટાર લેખક