કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજથી ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી 2019 માટે પ્રચાર અભિયાન શરૂ કર્યુ છે. પ્રચારના શ્રીગણેશ પ્રિયંકાએ પ્રયાગરાજથી કર્યા છે. અહી ગંગાઘાટથી તેઓએ બોટ યાત્રા શરૂ કરી છે જે યાત્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસી સુધી રહેશે.
પ્રિયંકા ગાંધી પોતાની આ યાત્રા દરમિયાન બિંદ, કેવટ, મલ્લાહ તેમજ નિષાદ સહિત અનેક જાતિઓને જોડવાનો પ્રયાસ કરશે. ગંગાના કિનારે મુખ્યરીતે આ જ જાતિના લોકો રહે છે.
આ લોકો ભાવાત્મક રીતે ગંગા સાથે જોડાયેલા છે. પ્રિયંકા સવારે 9.30 વાગ્યે પ્રયાગરાજથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ યાત્રા જળમાર્ગે થશે.
પ્રિયંકા મોટરબોટ પર વિદ્યાર્થીઓના એક પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરશે. યાત્રા દરમિયાન પ્રિયંકા સરહદ પર શહીદ થયેલા જવાનોના પરિવારના લોકોને પણ મળશે. આનો ઉદેશ્ય એવો સંદેશ આપવાનો છે કે પાકિસ્તાનને જવાબ આપવા માટે લેવામાં આવી રહેલા દરેક પગલાંની સાથે કોંગ્રેસ પાર્ટી છે.
પ્રિયંકાની આ બોટ યાત્રા લગભગ 140 કિલોમીટરની રહેશે. આ યાત્રા દ્વારા પ્રિયંકા ગાંધી પીએમ મોદીનો પણ સીધો જવાબ આપશે. સાથે જ આ યાત્રા દરમિયાન પ્રિયંકા પ્રસિદ્ધ મંદિરોના દર્શન પણ કરશે.