ગુજરાત,
રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો દાનવ ચિંતાજનક રીતે વકરી રહ્યો છે તેવામાં રાજ્યના વિવિધ શહેરોમાં સ્વાઈન ફ્લૂના નવા 35 કેસો નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે.
જાન્યુઆરી 2019થી અત્યારસુધીમાં 3765 લોકો સ્વાઈન ફ્લૂથી સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. તો બીજી તરફ સ્વાઈન ફ્લૂમાં સપડાયેલા નવા દર્દીઓનો આકડો સતત વધી રહ્યો છે.
જો રાજ્યભરની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની વાત કરીએ તો હાલ સ્વાઈન ફ્લૂના 360 દર્દીઓ સારવાર હેઠળ છે. તેવામાં વધુ 35 દર્દીઓ નોધાયા છે.
જેમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. શહેર દીઠ વાત કરીએ તો અમદાવાદમાં 7, વડોદરામાં 6, આણંદમાં 5, પાટણ, ભાવનગર અને અરવલ્લીમાં 3-3 નવા કેસ નોંધાયા છે.
જ્યારે બનાસકાંઠા, રાજકોટ, ખેડા, દ્વારાકા, ભાવનગર અને મહિસાગરમાં 1-1 કેસ નોંધાયા છે. વર્ષ 2019માં સ્વાઈન ફ્લૂના સૌથી વધારે કેસો નોંધાયા છે. અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લૂના કેસોની સંખ્યા એક હજારને પાર પહોચ છે.
લક્ષણો
સ્વાઈન ક્લૂનાં લક્ષણો હળવા પણ હોય છે અને તીવ્ર પણ હોય છે. સામાન્યથી ભારે તાવ (101 થી 104 ફે.), ઉદારસ, ગળામાં દુખવું, કળતર, અશક્તિ, માથું દુઃખવું, કાકડા પર સોજો, સ્નાયુ કે સાંધામાં દુખાવો, ઉબકા, ઉલ્ટી કે અતિસાર, થાક લાગવો, ગળફામાંથી લોહી પડવું, પેટમાં ગરબડ, ઠંડી લાગવી, શ્વાસ ચડવો, વગેરે સ્વાઈન ફ્લુના લક્ષણો છે.
અસરો
અસ્થમા, ડાયાબિટીસ, દમ, હદય રોગ અને મેદસ્વિતાથી પીડાતા વયસ્કો તેમજ બાળકો અને સગર્ભામહીલાઓ વધારે ઝડપથી આ રોગની અસર હેઠળ આવી શકે છે.
તેમનામાં આ રોગનાં લક્ષણો તીવ્રપણે જોવા મળે છે. 70 ટકા જેટલા રોગીઓ એવા છે કે જેઓ 5 વર્ષ કરતાં ઓછી અને 65 વર્ષ કરતાં વધુ વયના હોય છે. તંદુરસ્ત લોકોને પણ આ રોગ થઈ શકે છે. પરંતુ એવા કિસ્સાઓ અપવાદ રૂપ હોય છે.
સાવચેતીના પગલાં
સ્વાઇનફ્લુથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે. પ્રત્યેક વર્ષે તેની રસી લેવી. આ રસી 60 થી 70 ટકા રક્ષણ આપે છે.
સ્વયં લેવા જેવી કાળજી
* પાણી વઘારે પીવું, પૂરતી ઊંઘ લેવી. પૌષ્ટિક આહાર લેવો અને ગંદકીથી દૂર રહેવું.
* ઉધરસ કે છીક આવે ત્યારે મોઢુ અને નાક રૂમાલ ડે કપડાંથી ઢાંક્વું.
* આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરતાં પહેલાં અને પછી હાથ સાબુથી ધોવા.
* શકય હોય ત્યાં સુધી હાથ મિલાવવાનું ટાળવું.
* ભીડભાડવાળી જગ્યાએ જવું નહી. મેળા, મંદિરે, થિયેટરમાં અને અન્ય એવા કાર્યક્રમો કે જેમાં વધારે લોકો ભેગા થતા હોય તેવી જગ્યાએ આ રોગચાળો ફેલાય છે ત્યાં સુધી જવાનું ટાળવું.
* બીમાર લોકોની નજીક જવું નહિ. જવું પડૅ એમ જ હોય તો માસ્ક પહેંરૅલો રાખવો.
* ઘરમાં કોઈને ભારે શરદી કે ઉધરસ થયા હોય તો તેમને માસ્ક પહેરાવવાનોં આગ્રહ રાખો.
* આ રોગનાં લક્ષણો ધરાવતા દર્દીઓને કામ પર કે શાળાએ મોકલવા નહિ.
* ડોકટરની સલાહ વગર જાતે કોઇ એલોપેથી દવા લેવી નહિ.