જન સહયોગ અને મહિલા શક્તિનું જીવતું જાગતું સ્વરૂપ એટલે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાની શ્રી સુખપર સાર્વજનિક હિન્દુ સ્મશાન ભૂમિ!! સૌના સાથથી કોરોનાને આપી એ માત આ મંત્રને સુખપર માં સેવિકાઓ સાર્થક કરી રહી છે. કોરોનાના કપરા કાળમાં કોવીડ-૧૯ થી મૃત્યુ પામેલા લોકોને હિન્દુ ધાર્મિક વિધિથી અંતિમ ક્રિયાની કઠણ કાળજા ભરેલી કપરી કામગીરી સુખપર ગામમાં રાષ્ટ્ર સેવા સમિતિની ૧૫ સેવિકાઓ કરી રહી છે.
છ દિવસથી પ્રારંભ આ કામગીરીમાં ગ્રામીણ મહિલાઓ સ્મશાનભૂમિ ની સફાઈ થી લઇ મૃતદેહને અગ્નિદાહ આપવા સુધીની તમામ કામગીરી ધગસ ભેર હિંમતથી કરી રહી છે .પ્રવર્તમાન સ્થિતિમાં કોરોના ના સંક્રમણને પગલે થતાં મૃત્યુના કારણે નિયત કરેલા સ્મશાનો પૈકી ભુજ ખારી નદી સ્મશાન ભૂમિ અને સુખપર ગામે આ સ્મશાન ભૂમિ પર કોવીડ-૧૯ ના મૃતદેહને અંતિમ ક્રિયા કરાવવાના વહીવટી તંત્રના અનુરોધના પગલે અમે છ દિવસથી અહીં હિન્દુ શાસ્ત્રોક્ત રીતે કોવીડ-૧૯ ના દર્દીઓના અંતિમ સંસ્કાર કરી રહ્યા છીએ.” એમ સ્મશાનભૂમિની કામગીરી સાથે સંકળાયેલા રામજીભાઈ વેલાણી જણાવે છે .
સમગ્ર વેલાણી પરિવાર આ કામગીરીમાં જોડાયેલ છે. અહીં સવારે ૮થી રાતના ૮ વાગ્યા સુધી અંતિમ ક્રિયાની કામગીરીમાં બહેનો જોડાયેલી રહે છે. ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાંથી આવતા તમામ કોવીડ-૧૯ ના મૃતદેહોને અહીં તેમજ ખારી નદી ખાતે અગ્નિદાહ આપવામાં આવે છે. રામપર-વેકરા, ભુજ, માનકુવા અને સુખપરના ૫૦ જેટલા સેવકભાઈઓ પણ આ કામગીરીમાં સંકળાયેલા છે. સુખપર ખાતે રાષ્ટ્ર સેવા સમિતિની સેવિકાઓની પડખે સ્વામિનારાયણ પ્રસાદી ગામ એવા સુખપર સ્વામિનારાયણ મંદિરની સાંખ્યયોગી બહેનો પણ પોતાનો સહયોગ આપી રહી છે.
મૃતદેહ માટે ફૂલ, પૂજન વિધિની સામગ્રી તેમજ આ કામગીરી સાથે સંકળાયેલી સેવિકાઓ અને ભાઇઓની ભોજનની વ્યવસ્થા કરીને પણ સાંખ્યયોગીની બહેનો પોતાની રાષ્ટ્રીય સેવા બજાવી રહ્યા છે. હાલે કચ્છમાં હજાર જેટલા સેવિકા બહેનો છે. જેઓએ ગત વર્ષે કોરોનામાં માસ્ક બનાવવા, વહેંચવા, રાસન કીટ બનાવી અને વહેંચવી, દવાના પડીકા બાંધવા, ટિફિન સેવા કરવી વગેરે જેવી અનેક પ્રવૃત્તિઓ કરેલી છે.