રાજકોટ,
રાજકોટથી અવારનવાર અવનવી ઘટનાઓ સામે આવતી રહી છે એવામાં સમાચાર મળ્યા છે કે મંદિરમાં રોકવા આવેલો સાધુ મંદિરથી ચોરી કરી ગયો છે.
રાજકોટ શહેરનાં નવાગામ વિસ્તારમાં આવેલા લાલ હનુમાન મંદિરમાંથી ચોરી થઇ છે. આ મંદિર કુવાડવા પોલીસ સ્ટેશન પાછળ સ્થિત છે.
આ મંદિરમાં એક સાધુ બે દિવસ માટે રોકાવા આવ્યો હતો. સાધુ હોવાના કારણે તેને મંદિરમાં રહેવાની સુવિધા આપવામાં આવી હતી. પરંતુ રોકવાના બહાને આ સાધુના ઈરાદા તો અનોખા જ હતા.
અચાનક સવારે ખબર પડે છે કે હનુમાનજીનાં માથા પરનો મુકુટ અને સાધુ બંને ગાયબ છે. આ મુકુટ ચાંદીનો હતો જેમાં સોનાની વરણ હતી. શંકાની સોઈ સાધુ તરફ ફરતી હતી પરંતુ જયારે મંદિરની સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી ત્યારે સ્પષ્ટ થઇ ગયું હતું કે તે મુકુટ સાધુએ જ ચોર્યો છે.
અત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સાધુ વિરુદ્ધ ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે.