એક તરફ દેશમાં કોરોના નો ઉપાડો જોવા મળી રહ્યો છે વડાપ્રધાન મોદી રાજ્ય સરકારો સાથે મીટીંગ યોજી રહ્યા છે ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી કોરોના સંક્રમણ વધતું જતું હોય જિલ્લા કલેક્ટર તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ કોરોના સંક્રમણ સતત વધતું જાય છે. એક્ટિવ કેસોની સંખ્યા સામે ડિસ્ચાર્જ કેસો ઘટી રહ્યાં છે. હોમ આઈસોલેશન વધી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં હાલમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓને ખાસ કાળજી લેવા માટેની સૂચના આપવામાં આવી છે.
ગંભીર આક્ષેપ / મહારાષ્ટ્રમાં 56% રસીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી : પ્રકાશ જાવડેકરનો સનસનીખેજ આક્ષેપ
રાજકોટ શહેર અને જિલ્લામાં કોઈ પણ ભોગે કોરોના સંક્રમણ કાબૂમાં લેવા માટે તાજેતરમાં મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સ કરીને કરેલી તાકીદ બાદ જિલ્લામાં ધન્વંતરી રથોના ફેરા વધારી દેવામાં આવ્યા છે. સાથોસાથ લોકોને કોરોના રસીકરણ કરાવવા માટે સમજુતિ કરવા ખાસ ટીમોને ઉતારવામાં આવશે. જિલ્લા કલેક્ટર દ્વારા પ્લાનિંગ ઘડી કાઢવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત જિલ્લામાં ટેસ્ટિંગ વધારવાની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં હાલમાં 51 ધન્વંતરી રથો દ્વારા તમામ વિસ્તારોમાં ડોર ટુ ડોર તપાસ શરુ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લાની કુલ વસ્તી 32 લાખની આસપાસ મનાય છે તે તમામ વ્યક્તિઓના ત્રણ-ત્રણ વખત આરોગ્ય તપાસ કરી લેવામાં આવી છે.
સતર્કતા જ સમજદારી / રસીકરણ ઓછુ છે એટલે સાવધાની રાખવાની જરૂર છેઃ ડો.રણદીપ ગુલેરીયા
રાજકોટ શહેર અને જિલ્લાના તમામ હેલ્થ સેન્ટરોમાં તબીબો અને પેરામેડિકલ સ્ટાફને પણ સ્ટેન્ડ ટુ રહેવાની સૂચના આપવામાં આવી છે. હેલ્થ સેન્ટરોમાં ઓપીડી દરમિયાન કોરોનાના લક્ષણો જણાય તેવી વ્યક્તિઓને તુરંત જ સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ભરતી કરી દેવાની સુચના આપી દેવામાં આવી છે. હાલમાં રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં 550 કોરોના બેડ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. સાથોસાથ શહેરની 26 જેટલી ખાનગી હોસ્પિટલોમાં પણ 1 હજારથી વધારે કોરોના બેડ ઉપલબ્ધ હોવાનું તંત્રના સૂત્રોએ જણાવ્યું છે.