@ભવિની વસાણી, મંતવ્ય ન્યૂઝ – રાજકોટ
નોર્થ અમેરિકા અને યુરોપના દેશોમાં કોરોનાના બીજા તબક્કાની શરૂઆત થયા બાદ દેશની રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ છે. દિલ્હીની જેમ ગુજરાતમાં પણ કોરોનાના કેસો ભયજનક રીતે વધી રહ્યા છે.તે જોતા એવું ચર્ચાઈ રહ્યું છે કે ગુજરાતમાં પણ કોરોના બીજા તબક્કામાં પ્રવેશવાના ભણકારા વાગી રહ્યા છે. કેન્દ્રની આરોગ્ય ટીમના અધિકારીઓ પણ રાજ્ય સરકારની મદદ માટે અમદાવાદ આવી પહોંચ્યા છે. રાજકોટના તબીબો એ પણ જો જનતા હજુ પણ જાગૃત નહીં થાય તો કોરોનાના બીજા તબક્કા બાદ ગુજરાતમાં પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહેશે તેમ ચેતવણી આપી છે.
અમદાવાદમાં 57 કલાકનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેમજ સ્થિતિ વણસે નહીં તે માટે કેન્દ્રની આરોગ્ય ટીમની મદદ લેવામાં આવી રહી છે.અમદાવાદમાં SVP હોસ્પિટલની મુલાકાત કરી ઉચ્ચ સ્તરે અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. હજુ પણ આ ટીમ બે દિવસ ગુજરાતમાં રહેશે તેમજ વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં ડોક્ટર અને મનપા અધિકારીઓ સાથે મુલાકાત કરશે. તેમજ કોરોના સંક્રમણ અટકાવવા માટે વિશેષ પગલાં ભરશે. તેવું કેન્દ્રની આરોગ્ય ટીમના ડોક્ટર સુધીર કુમારે મીડિયા સમક્ષ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોકો જાગૃતિના અભાવે દિવાળીના તહેવારની ઉજવણીમાં ભાન ભૂલ્યા હોઈ અનેક સ્થળો પર ભીડ કરી મૂકી હતી. આ કારણે કોરોના વધુ વકર્યો છે. કોરોના સંક્રમણ વધવા માટે પ્રસાશન પર દોષ ન આપી શકાય.
કોરોના બીજા તબક્કામાં પ્રવેશે તે પહેલા ચેતો : ડો.જયેશ ડોબરીયા
ડોક્ટર જયેશ ડોબરીયા એ જાહેર જનતાને સંબોધીને જણાવ્યું છે કે તેઓ પોતાના વાંચન અને અનુભવ પરથી કોરોનાના બીજા તબક્કા વિશે જણાવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે કોરોનાએ આજથી એક વર્ષ પહેલાં ચીનના વુહાન શહેરમાં દેખાયું હતું ત્યારબાદ ઈટાલી, સ્પેન, જાપાન અમેરિકા કેનેડા સહિતના દેશોમાં ફેલાયો હતો. હવે દુનિયાના અન્ય દેશો કરતા કોરોના કેસોની સંખ્યામાં ભારત પણ પાછળ નથી વિશ્વભરમાં 5.75 લાખ કેસો છે ત્યારે ભારતમાં પણ 90 લાખ કેસ કોરોના પોઝીટીવ છે. એટલું જ નહીં બીજા તબક્કાની જેમજ અગાઉની સરખામણીમાં કેસો વધતા હોવાનું જોવા મળી રહ્યું હોય તેવું લાગે છે. રોજિંદા કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગઈકાલે વિશ્વમાં 6.5 લાખ, ભારતમાં 46,000 તેમજ ગુજરાતમાં 1200થી 1300 નવા કેસો જોવા મળ્યા છે. સ્થાનિક હોસ્પિટલોમાં આ રીતે કોરોનાના કેસો એકાએક વધી રહ્યા છે. અને ઇતિહાસમાં નોંધવામાં આવ્યું છે તે પ્રમાણે કોઈપણ સંક્રમણ કે મહામારીમાં પ્રથમ કરતા બીજો તબક્કો વધારે જોખમી હોય છે.
પ્રથમ તબક્કામાં રાજ્યભરમાં કોરોના કેસમાં ઘટાડાની શરૂઆત બાદ ફરીથી એકાએક કેસો વધી રહ્યા છે. લોકોએ તહેવારોની મજા કરી છે અને ગેટ ટુ ગેધર કર્યા છે. રાજ્યમાં ગઈકાલે 2,420 નવા કેસ નોંધાયા છે, જ્યારે રાજકોટમાં પણ 80થી વધુ કેસ નોંધાયા છે એ જ રીતે સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ નવા કેસો જોવા મળી રહ્યા છે. કોરોના અંગેના નિયમોનું પાલન કરવા માટે સરકાર સતત જણાવી રહી છે. સરકાર અને તબીબો કોરોના અંગેની ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે, જ્યારે જાહેર જનતા ભાન ભૂલી હોય તેવું લાગી રહ્યું છે. આ માટે જાહેર જનતાએ ફરી એક વખત સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝરને જીવનમાં અપનાવી અને જાતની શક્ય તેટલી તકેદારી રાખવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.
કેસમાં વધારો અને બેડની સંખ્યામાં ઘટાડો ગંભીરતાનું સૂચક : ડો.ચિરાગ માત્રાવડિયા
હોસ્પિટલોમાં જે રીતે દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યા છે અને બેડ ઘટવા માંડ્યા છે તે જોતા કોરોના ગંભીર રીતે વધી રહ્યો હોય તેમ લાગે છે. તેમજ બીજા તબક્કાની શરૂઆતના ભણકારા વાગી રહ્યા હોય તેવું લાગે છે. પેલા દરેક પરિવારમાં એક કે બે જણાને કોરોના થતાં હોવાના કેસો જોવા મળતા હતા તેના બદલે હવે બધા એ ગેટ ટુ ગેધર કર્યા હોય એક સાથે પાંચ થી સાત પરિવારના તમામ સભ્યો કોરોનાની ઝપેટમાં ચડી ગયા હોવાનું નોંધાયું છે. માર્ચથી લોકડાઉનનું પાલન કરી અને જનતા પણ કંટાળી હોય સરકારને પણ દિવાળીના તહેવાર પર થોડી છૂટ આપવાની ફરજ પડી હતી. કારણ કે જો સરકાર આમ ન કરે તો લોકોના તનાવમાં પણ વધારો થઇ શકે. સરકારે તહેવારોની ઉજવણી કરવા ની છૂટ આપી હતી પરંતુ તકેદારી રાખવાનો જણાવ્યું હતું પરંતુ લોકો તકેદારી રાખી શક્યા નથી. હવે કોરોન ને ડામવા માટે સરકાર અને જનતાએ સાથે મળીને કામ કરવું પડશે.