રાજકોટ:
ધારાસભ્ય લલિત વસોયાનો લસણના ભાવ અંગે અનોખો વિરોધ કરી રહ્યાં છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા મુખ્ય માર્ગો પર લારીમાં લસણ મફતમાં વેચવા નીકળતા લોકોના ટોળેટોળાં એકઠાં થઇ ગયા હતા.
રાજ્યમાં હાલ લસણ પકવતા ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યાં છે તેમને એક કિલો લસણના 75 પૈસા મળી રહ્યાં છે. ત્યારે સરકારના મંત્રી પણ કહે છે કે તેઓ હજી ખેડૂતોને મદદ કરવાની વિચારી રહ્યાં છે.
લસણના ખેડૂતોને મળી રહેલા ભાવ અંગે કૃષીમંત્રી આર.સી.ફળદુએ કહ્યું કે મુખ્યમંત્રીને રજૂવાત કરી છે અને સરકાર આ અંગે વિચારી રહી છે.
લસણ ડુંગળી શાકભાજીમાં આવે છે અને ભારત સરકારના કૃષિ ભાવ પંચની જે યાદી છે તેમાં આ શાકભાજીના ભાવનો સમાવેશ નથી. આ અંગે રાજ્યની નીતિમાં સહાય આપવામાં આવે છે.
જેમાં ડુંગળી અને બટાકાના ખેડૂતોને ખુલ્લા બજારમાં જો ભાવ ન મળે તો તેમને રાજ્ય સરકાર ભાવમાં સહાય કરે છે. આવનારા દિવસોમાં પણ ખેડૂતોની માંગના આધારે રાજ્ય સરકાર નિર્ણય લેશે.
લસણ માટે પણ માનનીય મુખ્યમંત્રી શ્રીવિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલને વાત કરવામાં આવી છે અને આ તમામ વિષયો પર સરકાર સહાનુભૂતિપુર્વક વિચારી રહી છે.
છેલ્લા ત્રણેક વર્ષથી લસણનો ભાવ સાવ તળિયે બેસી ગયો છે. લસણની માગ તો વધી રહી છે તો વિચારવું એ જ રહ્યું કે લસણનો ભાવ વધવાને બદલે સાવ તળિયે કેમ બેસી ગયો છે.
સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, જામનગર, અમરેલી જિલ્લા સહિત અનેક સ્થળે લસણની ખેતી થાય છે. વર્ષ 2015-16માં દેશી લસણના ભાવ મણના રૂા.1400 હતા, તેની સામે આજે રાજકોટ યાર્ડમાં રૂા.60 થી 275ના ભાવે સોદા થઇ રહ્યાં છે.