Vadodara News: વડોદરા જિલ્લાના પાદરા ગંભીરાનો મહિસાગર નદીનો બ્રિજ આજે સવારે ધરાશાઈ થતાં રાજ્યના અનેક જર્જરીત બ્રીજોની તપાસ હાથ ધરવી આજે અનિવાર્ય બની છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા રાજ્યના આવા જર્જરિત અને તૂટી પડવાની રાહ જોઈ રહેલા બ્રીજોની તપાસ કરી રિયાલિટી ચેક કરતાં અનેક તથ્યો બહાર આવ્યા છે.વડોદરા આણંદને જોડતો મહિસાગર નદી પરનો સિંધરોટ ઉમેટા બ્રિજ આજે દયનીય હાલતમાં છે.
રાજ્ય સરકાર દ્વારા વિકાસની ગાથાઓને જાહેરમાં પ્રદર્શિત કરીને વાહવાહી તો લૂંટી લેવામાં આવે છે પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે રાજ્યમાં માનવ વસ્તીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જોડતા જાહેર માર્ગો અને પુલોની આજે ખસ્તા અને દયનીય હાલત બની છે. આ પુલો બનાવનારા ઈજારદારો દ્વારા કરવામાં આવેલા કામગીરીનું ચોક્કસ સમયે મૂલ્યાંકન નહીં કરવાને કારણે રાજ્યમાં અનેક બ્રિજો તૂટી પડવાની ઘટનાઓ સામે આવી રહી છે . ભારતનું આદર્શ અને વિકસિત મોડેલ તરીકે ગણાતુ ગુજરાત રાજ્ય હવે ધીરે ધીરે બિહાર રાજ્યની સરખામણીમાં આવતું હોય એમ લાગે છે , જે રીતે બિહારમાં અનેક પુલો તૂટી પડવાની ઘટનાઓ સામે આવી છે તેમ હવે ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ પુલો અને નાળાઓ તૂટી પડવાની ઘટનાઓ વારંવાર માધ્યમોના મારફતે બહાર આવે છે ત્યારે આ પ્રકારના બનાવેલા બ્રીજોની ગુણવત્તા પર સવાલ ઊભા થાય છે. અલબત્ત સરકાર દ્વારા આવા જર્જરીત થયેલા પુલો અને નાળાઓને ત્વરિત દુરસ્ત કરવામાં આવે તે જરૂરી બન્યું છે,અન્યથા અકસ્માતોનો સિલસિલો આ જ પ્રકારે ચાલ્યા કરશે જેનો ભોગ રાજ્યના હજારો નિર્દોષ નાગરિકો બનશે. ગંભીરા પાદરાના બ્રિજને તૂટી પડવાની ઘટના બાદ મંતવ્ય ન્યૂઝ દ્વારા વડોદરાના છેવાડે આવેલા આણંદ શહેરને જોડતા ઉમેટા સિંધરોટ બ્રીજની રિયાલિટી ચેક કરવા માં આવી હતી જેમ અનેક ચોંકાવનાર ખુલાસા થયા છે. વર્ષ 1976 માં માધવસિંહ ની સરકારમાં બનાવવામાં આવેલ આ બ્રિજનું આયુષ્ય આજે 48 વર્ષનું થયું છે.
આ બ્રિજ આજે જર્જરીત હાલતમાં ઊભો છે જેને મહિસાગર નદીના પાવન જળ પખાલી રહ્યા છે. આ બ્રિજ પરથી દરરોજ હજારોની સંખ્યામાં નાના મોટા વાહનો અવરજવર કરે છે. આ ઉપરાંત ભાદરણ, આંકલાવ, આસારમા,અતીપુરા,ખડોલ,સંખ્યાદ, ચમારા જેવા ગામોમાંથી અનેક યુવાઓ રોજગારી માટે વડોદરા તરફ આવતાં હોય છે એ જ પ્રમાણે વડોદરા તરફથી અનેક લોકો આણંદ ખેડા અને નડિયાદ સહિત સૌરાષ્ટ તરફ અવરજવર કરતાં હોય છે. આ બ્રિજને આટલા વર્ષો થયા છે ત્યારે બ્રીજની સ્ટેબેલિટી અંગે પણ જરૂરી તપાસ થવી જોઈએ.
મળતી માહિતી મુજબ સરકાર દ્વારા નવીન બ્રીજની કામગીરી શરૂ કરવામાં આવી છે પરતું હજી સુધી નવો બ્રિજ બનાવવાની કે જૂના બ્રિજને સમારકામ કરવાની તસ્દી સરકારે લીધી નથી..ત્યારે સવાલ એ થાય કે શું સરકાર ગંભીરા પાદરા વાળા અકસ્માત જેવા બનાવની રાહ જોઈ રહી છે ? આવા બનાવો બન્યા બાદ સરકાર બ્રિજ બનાવવાની કે દુરસ્ત કરવાની કામગીરી કરશે ?? આ બ્રિજ નો ઉપયોગ કરનાર સ્થાનિક રહીશોને પણ હવે આ જર્જરીત બ્રિજ ઉપરથી પસાર થવાનો ડર લાગે છે ગમે ત્યારે આ બ્રિજ તૂટી પડશે ત્યારે મોટી સંખ્યામાં જાનહાનિ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે .
આ પણ વાંચો:વડોદરા શહેરમાં સ્કૂલોને બોમ્બ ધમકીનો સિલસિલો યથાવત,અમીન સ્કૂલને RDXથી ઉડાવવાની ધમકી, પોલીસ તપાસમાં
આ પણ વાંચો:વડોદરામાં 12 દિવસમાં ત્રીજી સ્કૂલ નિશાના પર,સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી
