અમદાવાદ
હિન્દુ ધર્મમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિદેવની મૂર્તિ પ્રચલિત છે. જેમાં બ્રહ્માને સૃષ્ટિના રચિયતા કહેવામાં આવ્યા છે, વિષ્ણુને સૃષ્ટિના પાલનહાર કહેવામાં આવ્યા છે અને શિવને પૃથ્વી પરથી પાપના વિનાશ કરતા દેવ તરીકે ઓળખવામાં આવ્યા છે.
હિન્દુ ધર્મની કથાઓ અને માન્યતા મુજબ ભગવાન શિવના રુદ્ર અવતારની ખૂબ જ ચર્ચા કરવામાં આવેલી છે. તેમનો ક્રોધ દુનિયામાં સૌથી ભયાનક છે. તેઓ જ્યારે ક્રોધિત થાય છે ત્યારે તેમને શાંત કરવા લગભગ અશક્ય છે. જ્યારે બીજી બાજુ શિવ શંકરને તેમના ભક્તો ભોળાના નામથી સંબોધિત કરે છે. કારણકે, ભગવાન શિવને ભક્તિના માર્ગે પ્રસન્ન કરવા ત્રિદેવોમાં સૌથી સરળ છે. શિવ ઝડપથી પ્રસન્ન થાય છે અને મનવાંછિત વરદાન આપે છે. જો કે, શિવનું ત્રીજું પણ સ્વરૂપ છે.
શિવના આ સ્વરૂપને તમે પૌરાણિક કથાઓ, ગ્રંથો કે તસ્વીરોમાં જ જોઈ શકો છે. જેમાં શિવને ભાંગ અને ધતુરાના સેવનમાં મસ્ત દર્શાવવામાં આવ્યા છે. કદાચ આ જ એક કારણ છે કે શિવ ભક્તો મહાશિવરાત્રીના દિવસે પ્રસાદ તરીકે ભાંગનું સેવન કરે છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે, શિવ ભાંગ અને ધતુરાનું સેવન શા માટે કરે છે તે તો ભગવાન છે
ભક્તોને સાચા માર્ગે લાવનાર છે. તો પછી આ પ્રકારના નશીલા પદાર્થનું સેવન શા માટે? આ પાછળ પણ એક પૌરાણિક કથા છે. કહે છે કે, જ્યારે દેવો અને દાનવો મળીને અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કરી રહ્યા હતા. ત્યારે અમૃતની પહેલા વિષ નિકળ્યું હતું. અમૃતને તો વિષ્ણુજી નું સ્વરૂપ ધારણ કરીને ચોરી ગયા હતા પરંતુ જેનું એક ટિપુ પણ સૃષ્ટિનો વિનાશ કરવા સક્ષમ હતું, તે વિષનું શું? ત્યારે શિવજી આ તમામ વિષ પી ગયા હતા. ત્યારે આ વિષની અસરને ખાળવા માટે શિવજીએ ભાંગ અને ધતુરાનું સેવન કર્યું હોવાનું માનવામાં આવે છે.
આ ઉપરાંત એવી પણ માન્યતા છે કે શિવના આ ચિત્ર દ્વારા એ સમજાવવાનો પ્રયત્ન કરાય છે કે ભગવાન શિવ પર દુનિયાના કોઈ નશાની અસર થતી નથી. દુનિયાનું કોઈપણ વિષ હોય કે નશો શિવના શરીરમાં જતા જ તેનો અંત આવે છે.