@રવિ ખખ્ખર, મંતવ્ય ન્યૂઝ, ગીર સોમનાથ
કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર ગણાતા બાર જ્યોતિર્લિંગ પૈકીનાં સોમનાથ મહાદેવ મંદિર સ્થિત પુરાતત્વ વિભાગ દ્વારા સર્વે કરાયો. આ સર્વેમાં એવું જાણવા મળ્યું છે, જે જાણીને આપ પણ અંચબિત થઈ જશો.
- સોમનાથ મંદિરની નીચે ત્રણ માળનું એલ આકારનું બાંધકામ
- વડાપ્રધાન મોદીની સૂચનાથી આર્કિયોલોજી વિભાગ દ્વારા સંશોધન
- 4 સ્થળે GPR ઇન્વેસ્ટિગેશનમાં સામે આવી ઐતિહાસિક માહિતી
- સંશોધનમાં મળ્યાં મંદિર નીચે બૌદ્ધ ગુફા અને ભૂગર્ભ રસ્તાઓ
- દિગ્વિજય દ્વાર અને હિરણના કાંઠે બાંધકામ પણ જણાયું
- ભૂગર્ભમાં બાંધકામ છે ત્યાં 2 થી 12 મીટર સુધી વાઈબ્રેશન
કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવા બાર જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ એવા સોમનાથ મહાદેવ મંદિરના સ્થળ નીચે ભૂગર્ભમાં ત્રણ માળનું એલ આકારનું બાંધકામ હોવાનું સંશોધનમાં બહાર આવ્યું છે. વર્ષ ૨૦૧૭માં સોમનાથ મંદિરના ટ્રસ્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિલ્હી સ્થિત નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં મંદિરના પુરાતત્ત્વનો અભ્યાસ કરવાનું સૂચન પીએમ મોદીએ કર્યું હતું. અને આ અંગે આઈઆઈટી ગાંધીનગરને કામગીરી સોંપાઈ હતી. જેને પગલે 4 સહયોગી સંસ્થાના આર્કિયોલોજીના નિષ્ણાતોની ટીમ સોમનાથ આવી હતી. અને પ્રભાસપાટણમાં ગૌલોકધામ, મંદિરના દિગ્વિજય દ્વાર તરીકે ઓળખાતા મેઇન ગેટથી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યૂ આસપાસના સ્થળે તેમજ બૌદ્ધ ગુફા જેવી કુલ 4 સ્થળો પર જીપીઆર ઇન્વેસ્ટિગેશન કર્યું હતું. જેનો 32 પાનાંનો રિપોર્ટ નકશા સાથે સોમનાથ ટ્રસ્ટને સોંપવામાં આવ્યો હતો.
આ રિપોર્ટ પ્રમાણે, પ્રભાસપાટણના સોમનાથ હસ્તકના ગૌલોક ધામમાં હિરણ નદીના કાંઠે થયેલા સર્વેમાં ભૂગર્ભમાં પાકું બાંધકામ હોવાનું જણાયું છે. તો દિગ્વિજય દ્વારથી સરદાર પટેલના સ્ટેચ્યૂ પાસે અગાઉ જૂનો કોઠાર નામથી ઓળખાતું બાંધકામ હતું, જે દૂર કરવામાં આવ્યું છે. ત્યાં ભૂગર્ભમાં 3 માળનું મકાન હોવાનું માલૂમ પડ્યું છે, જેમાં એક માળ અઢી મીટર, બીજો માળ 5 મીટર અને ત્રીજો માળ સાડા સાત મીટરની ઊંડાઇએ આવેલો છે. જ્યારે સોમનાથમાં અત્યારે યાત્રિકોની સિક્યોરિટી તપાસ થાય છે એ સ્થળે પણ ભૂગર્ભમાં એલ આકારનું બાંધકામ હોવાનું જણાયું છે. આ તમામ સ્થળોએ 2 મીટરથી 12 મીટર સુધી જીપીઆર ઇન્વેસ્ટિગેશન દ્વારા જમીનની અંદર આવતા વાઇબ્રેશન પરથી નિષ્ણાંતો પોતાનો અભિપ્રાય આપે છે. એના પરથી રિપોર્ટ તૈયાર થાય છે.
- સોમનાથ સ્થિત ગૌલોક ધામમાં હિરણ નદીના કાંઠે થયેલા સર્વેમાં ભૂગર્ભમાં પાકું બાંધકામ
- દિગ્વિજય દ્વારથી સરદાર પટેલના સ્ટેચ્યૂ પાસે અગાઉ જૂનો કોઠાર નામથી ઓળખાતું બાંધકામ
- ભૂગર્ભમાં 3 માળનું મકાન, જેમાં એક માળ અઢી મીટર, બીજો માળ 5 મીટર અને ત્રીજો માળ સાડા સાત મીટરની ઊંડાઇએ આવેલો
- મંદિરમાં જ્યાં યાત્રિકોની સિક્યોરિટી તપાસ થાય છે, તે સ્થળે પણ ભૂગર્ભમાં એલ આકારનું બાંધકામ જણાયું
- તમામ સ્થળોએ 2 થી 12 મીટર સુધી GPR ઇન્વેસ્ટિગેશન દ્વારા જમીનમાંથી આવતા વાઇબ્રેશન પરથી નિષ્ણાંતો આપે છે અભિપ્રાય
ટ્રસ્ટી જીવણભાઇ પરમારના જણાવ્યા અનુસાર સ્કંદ પુરાણમાં ૧૪૦૦ વર્ષ પૂર્વે પ્રભાસપાટણની શું સ્થીતી હતી એ અંગે ૮૦૦૦ શ્લોક માં માપ સહીત વિગતો આપી છે ત્યારે જો આ દીશા માં આગળ વઘવામાં આવે અને જો કોઇ યુનીવર્સીટી પ્રોજેકટ રૂપે હાથ ધરે તો પ્રભાસપાટણનો ધરબાયેલો ભવ્ય ઇતીહાસ સામે આવી શકે છે.
હાલ તો પુરાતત્વ વિભાગ દ્વારા સોમનાથ મંદિરને લઈને અપાયેલી ઐતિહાસિક માહિતીએ સૌ કોઈને આશ્ચર્યચકીત કરી દીધા છે. ત્યારે હવે આ ભવ્ય અને દિવ્ય વારસા સમાન ધરબાયેલી ઐતિહાસિક સંસ્કૃતિનાં દર્શન માટે લોકો મીટ માંડીને બેઠા છે.