Lifestyle/ ડિવોર્સ કેસમાં કેવી રીતે જોવાય છે આ બાબતને? ​કેવળ લગ્ન કરવાથી જ પત્ની પતિની 50% સંપત્તિની હકદાર બની જાય ખરી?!!

લગ્ન એક પવિત્ર બંધન ગણાય છે પરંતુ ઘણી વાર એ લાંબા ટકી શકતા નથી……છૂટાછેડા (Divorce) થાય એટલે પત્નીનો પતિની સંપત્તિ પર કેટલો અધિકાર ગણાય…

Trending Lifestyle Relationships
Divorce સમયે પત્નીનો પતિની સંપત્તિ પર કેટલો અધિકાર?

Lifestyle: પતિ પત્નીની વચ્ચે ખટરાગ હોય અથવા કોઈ અન્ય સમસ્યા…છૂટાછેડા (Divorce) થાય એટલે પત્નીને પતિની અડધી સંપત્તિ મળવા પાત્ર હોય જ! મોટાભાગના લોકો આમ જ માનતા હોય છે! ભારતમાં છૂટાછેડા સમયે સંપત્તિના ભાગ પાડવાના કેટલાક નિયમો છે અને આ નિયમોને ધ્યાનમાં રાખીને પત્નીને મળવા પાત્ર ભરણપોષણ અને એલિમનીની રકમ નક્કી થાય છે. જો કે, અમુક કિસ્સામાં તો પત્ની (Wife) પતિ (Husband)ની સંપત્તિ પર દાવો પણ કરી શકતી નથી. એટલે કે પતિની અડધી સંપત્તિ પત્નીને મળી જાય એવું શક્ય નથી! જાણીને તમે ચોંકી જશો!

લગ્ન એક પવિત્ર બંધન ગણાય છે પરંતુ ઘણી વાર એ લાંબા ટકી શકતા નથી અને એના અનેક કારણો હોઈ શકે છે, એની પળોજણમાં પડ્યા વિના આપણે અહિં મુખ્ય મુદ્દા પર વાત કરીશું. પતિ અને પત્ની બંનેમાંથી કોઈ પણ દ્વારા કોર્ટમાં ડિવોર્સનો કેસ દાખલ થાય એટલે અદાલત બંને પક્ષોને સાંભળે છે, ત્યારબાદ તેમની આર્થિક સ્થિતિ, જવાબદારી તથા અન્ય તથ્યોની તપાસ કરીને ભરણપોષણ અને એલિમનીની રકમ નક્કી કરે છે. અહિં આપણે જાણીશું કે કઈ સ્થિતિમાં પત્ની સંપત્તિ પર દાવો ન કરી શકે અને પત્નીને કયા-કયા અધિકારો મળે છે?

પતિ પત્ની વચ્ચે મતભેદ

છૂટાછેડા સમયે પત્ની શાની માગણી કરી શકે ? (Wife’s Rights At Divorce)

પતિ પત્ની કોઈપણ કારણસર જો જુદા થવાનું નક્કી કરે તો છૂટાછેડા સમયે પત્ની ભરણપોષણ કે સ્થાયી એલિમની (Maintenance or permanent alimony)ની માંગ કરી શકે છે. આ ઉપરાંત, પત્ની પોતાનું સ્ત્રીધન (Women’s wealth) માંગી શકે છે કારણ કે સ્ત્રીધન પર પત્નીનો સંપૂર્ણ અધિકાર ગણાય છે.

જો પતિ પત્ની વચ્ચે બાળકનો મામલો જોઈએ અને જો લગ્નજીવનથી બાળક હોય તથા બાળકની જવાબદારી (Child’s Responsibility) પત્ની હસ્તક હોય તો પત્ની બાળક માટે પણ પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે છે.

પતિની સંપત્તિમાં પત્નીનો કેટલો અધિકાર? (Wife’s Rights on Husband’s Property)

મોટાભાગના લોકોના મનમાં એવી ગેરસમજણ હોય છે કે છૂટાછેડા થાય તો પતિની 50 ટકા પ્રોપર્ટી પત્નીને મળી જાય! પરંતુ તમને ખબર ન હોય તો જણાવીએ કે ભારતમાં આવો કાયદો નથી. છૂટાછેડાના કેસમાં કોર્ટ સંપત્તિના ભાગ નથી પાડતી અહીં ફક્ત લગ્ન જ સમાપ્ત થાય છે.

હવે જો વાત કરીએ સંપત્તિની તો, પતિની સ્વપાર્જીત સંપત્તિ હોય તો તેનો અધિકાર પતિ પાસે જ રહે છે અને તેમાં પત્ની અડધો ભાગ માંગી શકતી નથી! વળી પત્નીને જે એલિમની મળે છે તેમાં પણ લગ્નને કેટલો સમય થયો એ કોર્ટ જુએ છે.

આ ઉપરાંત, બંનેની આવક, બાળકની જવાબદારી કોણ ભોગવે છે, પત્ની સ્વનિર્ભર છે કે નહીં વગેરે તમામ બાબતોને ધ્યાનમાં લઈને ભરણપોષણ કે એલિમની નક્કી થાય છે.

અહિં સાર એટલો જ છે કે ડિવોર્સ થાય એટલે અડધી સંપત્તિ મળી જ જાય એવું લગીરે નથી!

પત્ની પતિની કઈ સંપત્તિ પર દાવો કરી શકે ?

1. લગ્ન બાદ જે સંપત્તિ પતિ-પત્નીએ સંયુક્ત રીતે ખરીદી હોય

2. એ ખરીદેલી સંપત્તિમાં પત્નીએ આર્થિક યોગદાન આપ્યું હોય

3. જે સંપત્તિમાં પતિ-પત્ની સંયુક્ત રીતે માલિકી હક ધરાવતા હોય

એલિમનીની રકમમાં કઈ બાબતોને લક્ષ્યમાં લેવાય

એલિમનીની રકમમાં કઈ બાબતોને લક્ષ્યમાં લેવાય છે?

1. પતિની આવક કેટલી છે

2. પતિ પર કેટલી જવાબદારી છે

3. પતિ એલિમની ચુકવવા સક્ષમ છે કે નહીં

4. બાળકની જવાબદારી

5. પત્નીની ઉંમર

6. પત્નીનું સ્વાસ્થ્ય

7. ડિવોર્સ પછી રોજગાર મળવાની શક્યતા

મોટાભાગે ઉપરોક્ત મુદ્દાઓને કોર્ટ લક્ષ્યમાં લેતી હોય છે.

અર્થાત્ પુરુષ સાથે લગ્ન (Marriage) કરવામાત્રથી જ સ્ત્રી તેની સંપત્તિમાં 50 ટકાની ભાગીદાર ગણાય અને આ સંપત્તિ તેને પ્રાપ્ત જ જાય તેવું નથી હોતું! આ ભ્રમણાને દૂર કરવાની જરુર છે અને છૂટાછેડાની બાબતમાં પત્નીને સંપત્તિમાં મળતા અધિકારોમાં પરિસ્થિતિ, પુરાવા તથા સાક્ષીને લક્ષ્યમાં લઈને જ સંપત્તિની વહેંચણી (Distribution of wealth)નો નિર્ણય થાય છે. આથી જો આવી ગેરસમજણ તમે પણ ધરાવતા હો તો એમાં આ લેખની માહિતી તમારી આંખો ઉઘાડનારી સાબિત થશે.

Disclaimer: અહીં આપેલી માહિતી અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને લઈને એક્સપર્ટ પાસેથી સલાહ લેવી જોઈએ. મંતવ્ય ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.


આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, પુખ્ત દીકરીને જીવનસાથી પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા

આ પણ વાંચો: સમલૈંગિક સંબંધ હોઈ શકે, લગ્ન નહીઃ સુપ્રીમ કોર્ટ

આ પણ વાંચો: જો લગ્નજીવનને નુકસાન થાય છે, તો પત્ની તેના પતિના પ્રેમી પાસેથી નુકસાની માંગી શકે છે; દિલ્હી હાઈકોર્ટ