Russia Ukraine Missile Attack: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફરી એકવાર હુમલાની તીવ્રતા વધી છે. રશિયન સેનાએ યુક્રેનના પાટનગર કીવ સહિત કુલ નવ શહેરોને નિશાન બનાવ્યા હોવાનો યુક્રેન તરફથી દાવો કરવામાં આવ્યો છે. હુમલા દરમિયાન અનેક વિસ્તારોમાં વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. યુક્રેનના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રશિયન હુમલામાં નાગરિક વિસ્તારોને નુકસાન થયું છે. એક 16 માળની રહેણાંક ઈમારત સહિત બે શૈક્ષણિક સંસ્થાઓને ભારે નુકસાન પહોંચ્યું હોવાની માહિતી સામે આવી છે. હુમલામાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું પણ જણાવાયું છે.
મિસાઈલ અને ડ્રોનનો વધતો ઉપયોગ
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આરોપ લગાવ્યો છે કે રશિયા પોતાની મિસાઈલ ક્ષમતામાં વધારો કરી રહ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે રશિયા યુદ્ધને અટકાવવાને બદલે હુમલાની ક્ષમતા વધારવા પર ભાર મૂકી રહ્યું છે. યુક્રેન તરફથી જેટ એન્જિનવાળા ડ્રોનના ઉપયોગમાં પણ વધારો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Russiaએ આરોપોને નકાર્યા
બીજી તરફ રશિયાએ(Russia) નાગરિકોને નિશાન બનાવ્યાના આરોપોને ફગાવી દીધા છે. રશિયાના જણાવ્યા પ્રમાણે તેના હુમલાનું લક્ષ્ય યુક્રેનના લશ્કરી મથકો અને સંરક્ષણ સાથે જોડાયેલી સુવિધાઓ હતી. આ ઉપરાંત ઓઈલ રિફાઈનરી અને કેટલીક ઔદ્યોગિક જગ્યાઓને પણ નિશાન બનાવવામાં આવી હોવાનો રશિયાએ દાવો કર્યો છે. હુમલાઓની અસર યુક્રેનની પરિવહન વ્યવસ્થા પર પણ જોવા મળી છે. કેટલાક શહેરોમાં લાંબા સમય સુધી રેલવે સેવા પ્રભાવિત રહી હતી. જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને અનેક સેવાઓમાં વિલંબ થયો.
યુક્રેનનો રશિયા સામે વળતો હુમલો
રશિયન(Russia) હુમલાના જવાબમાં યુક્રેનની સેનાએ પણ રશિયાના અનેક વિસ્તારોને નિશાન બનાવ્યા હોવાનો દાવો થયો છે. રશિયાએ જણાવ્યું કે યુક્રેન તરફથી આવેલા 267 ડ્રોનને તેની વાયુરક્ષા પ્રણાલીએ નિષ્ક્રિય કર્યા છે.છેલ્લા કેટલાક દિવસોમાં બંને દેશો વચ્ચે હુમલા અને વળતા હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસો વચ્ચે ફરી વધેલી સૈન્ય કાર્યવાહીથી તણાવ વધુ ગંભીર બન્યો છે.
આ પણ વાંચો:નેપાળમાં ભીષણ પૂરનો પ્રકોપ: 160ના મોત, 133 ભારતીય શ્રદ્ધાળુઓ પણ સંપર્કવિહોણા
આ પણ વાંચો:નેપાળમાં તિબેટથી આવેલા ભયંકર પૂરથી ભારે તબાહી, 1000 લોકોના વહી જવાની આશંકા
આ પણ વાંચો:નેપાળમાં હિમાલયનું મહાસંકટ; ગ્લેશિયર તૂટવાથી સર્જાયું ભીષણ પૂર, 160થી વધુ લોકોના મોત
