યુક્રેન પર હુમલા બાદથી રશિયા સતત પરમાણુ યુદ્ધની ચેતવણી આપી રહ્યું છે. તેની ચેતવણી ખાસ કરીને અમેરિકા સહિતના પશ્ચિમી દેશો માટે છે જે યુક્રેનને લડાઈમાં મદદ કરી રહ્યા છે. આ દરમિયાન રશિયન પ્રધાન સર્ગેઈ લવરોવે ફરી એક વખત ચેતવણી આપી છે કે પશ્ચિમી દેશોએ યુક્રેન પર પરમાણુ સંઘર્ષના વધતા જોખમને હળવાશથી ન લેવું જોઈએ. આ સાથે જ લવરોવે નાટો પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે અમે જોઈ રહ્યા છીએ કે નાટો આ સંઘર્ષમાં કિવને હથિયારોની સપ્લાય કરીને રશિયા સાથે પ્રોક્સી યુદ્ધમાં વ્યસ્ત છે.
લવરોવે કહ્યું કે રશિયા કોઈપણ કિંમતે પરમાણુ યુદ્ધને રોકવા માટેના પ્રયાસો ચાલુ રાખવા માટે ઘણું કરી રહ્યું છે. આ અમારી નિર્ણાયક સ્થિતિ છે, જેના પર બધું જ નિર્ભર છે. હવે જોખમો નોંધપાત્ર છે. હું જૂઠું બોલીને તે મુશ્કેલીઓને વધારવા માંગતો નથી. આ ધમકી ગંભીર અને વાસ્તવિક છે. આપણે તેને ઓછી આંકવી જોઈએ નહીં.
રશિયાએ બે મહિના પહેલા યુક્રેન પર હુમલો કર્યો હતો. આ લડાઈ 1945 પછી યુરોપિયન રાજ્ય પરનો સૌથી મોટો હુમલો છે, જેમાં હજારો લોકો માર્યા ગયા અને અનેક ઘાયલ થયા. સંઘર્ષે નગરો અને શહેરોને કાટમાળમાં બદલી દીધા અને 50 લાખથી વધુ લોકોને દેશ છોડીને ભાગી જવાની ફરજ પડી.
રશિયન સૈનિકોએ બાળકોને ગોળી મારી દેવાની ધમકી આપી
યુક્રેનિયન સમાચાર એજન્સી ઇન્ટરફેક્સ અનુસાર રૂબિજનમાં રશિયન સૈનિકોએ મહિલા બાળકોને ગોળી મારી દેવાની ધમકી આપી છે. લુહાન્સ્કના પ્રાદેશિક લશ્કરી વહીવટના વડા સેરહી હૈદાઈએ જણાવ્યું હતું કે જો મહિલાઓ યુક્રેનિયન સૈન્યનું સ્થાન કે સૈનિકોની જગ્યા જાહેર નહીં કરે તો રશિયન સૈન્યએ તેમના બાળકોને ગોળી મારી દેવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો: Delhi/ કોરોનાની બગડતી પરિસ્થિતિ વચ્ચે PM મોદીએ બોલાવી મુખ્યમંત્રીઓની બેઠક, લેવાઈ શકે છે મહત્વના નિર્ણય
આ પણ વાંચો: Tweet/ કોંગ્રેસમાં જોડાવાના ઈન્કાર વચ્ચે નવજોત સિદ્ધુને મળ્યા પ્રશાંત કિશોર, પૂર્વ પ્રદેશ પ્રમુખે શું કહ્યું?