Narmada News: નર્મદા અને સુરત જિલ્લાની સરહદે જંગલ જમીન પર ખેતીના હક્કને લઈને વિવાદ વધુ વકર્યો છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે આદિવાસી ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવેલા ધરણાં (Sagbara Farmers Protest)નો આજે ત્રીજો દિવસ છે. 300થી વધુ આદિવાસી ખેડૂતો આ આંદોલનમાં જોડાયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ખેડૂતોની માંગ છે કે સાગબારા વિસ્તારના આદિવાસીઓને જંગલની જમીન પર ખેતી કરવાનો હક્ક આપવામાં આવે. બીજી તરફ, વન વિભાગના અધિકારીઓ દ્વારા નિયમો અને ગ્રામસભાના ઠરાવના આધારે નિર્ણય લેવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે.

લાંબા સમયથી ચાલી રહ્યો છે જમીનનો વિવાદ
સાગબારા વિસ્તાર અને ઉમરપાડા તાલુકાના આદિવાસીઓ વચ્ચે જંગલ જમીન પર ખેતીના હક્કને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હોવાનું જણાવાયું છે.સાગબારા વિસ્તારના ખેડૂતોનો આક્ષેપ છે કે વન વિભાગ દ્વારા તેમને જંગલ વિસ્તારમાં ખેતી કરતા અટકાવવામાં આવી રહ્યા છે.
આ મુદ્દાના ઉકેલ અને ખેતી કરવાનો હક્ક મળે તેવી માંગ સાથે ખોપી ગામે ખેડૂતો ધરણાં (Sagbara Farmers Protest) પર બેઠા છે.આંદોલનમાં 300થી વધુ ખેડૂતો જોડાયા હોવાનું જણાવાયું છે. સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન સહિતના આગેવાનો પણ ખેડૂતોના સમર્થનમાં ધરણાં (Sagbara Farmers Protest) સ્થળે પહોંચ્યા હતા.

Sagbara Farmers Protest: ખેડૂતોના પ્રશ્ને સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી
ખેડૂતોના પ્રશ્નનો ઉકેલ લાવવા સાંસદ મનસુખ વસાવા ગાંધીનગર પહોંચ્યા હતા. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરીને સમગ્ર મામલે રજૂઆત કરી હતી. મનસુખ વસાવા (Mansukh Vasava)એ મુખ્યમંત્રીને જંગલ જમીનના વિવાદને કારણે ખેડૂતોને પડતી મુશ્કેલીઓથી વાકેફ કર્યા હતા. મુખ્યમંત્રીએ આ મામલે વન મંત્રી સાથે ચર્ચા કરીને જરૂરી ઉકેલ લાવવાની ખાતરી આપી હોવાનું જણાવાયું છે.આ ઉપરાંત સાંસદે રાજ્યકક્ષાના મંત્રી અને નર્મદા જિલ્લાના સહપ્રભારી પ્રવીણ માળી સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી હતી.

‘માત્ર સેટેલાઈટ નકશાના આધારે નિર્ણય ન લેવાય’
મનસુખ વસાવાએ અધિકારીઓને માત્ર સેટેલાઈટ નકશાના આધારે જ જમીન અંગે નિર્ણય ન લેવા રજૂઆત કરી છે. તેમણે સ્થળ પર જઈને વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કરવાની માંગ કરી છે.સાંસદે સવાલ ઉઠાવ્યો હતો કે જો સુરત જિલ્લાના કેટલાક ખેડૂતો આ જમીન પર ખેતી કરી રહ્યા છે, તો નર્મદા જિલ્લાના ખેડૂતોને ખેતી કરવાની મંજૂરી કેમ આપવામાં આવતી નથી?તેમણે બંને તાલુકા વચ્ચેના સંબંધોને ધ્યાનમાં રાખીને સ્થળ પર વાસ્તવિક સ્થિતિની તપાસ બાદ ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી છે.
Sagbara Farmers Protest: ઉમરપાડા-સાગબારા સંબંધોનો મુદ્દો પણ સામે આવ્યો
સાંસદ મનસુખ વસાવાના જણાવ્યા મુજબ, સાગબારા અને ઉમરપાડા તાલુકા વચ્ચેના સંબંધો સારા ન હોવાના કારણે વન સમિતિનો અભિપ્રાય મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.આથી માત્ર દસ્તાવેજી અથવા સેટેલાઈટ માહિતીના આધારે નિર્ણય લેવાને બદલે અધિકારીઓ સ્થળ પર જઈને જમીનની સ્થિતિ અને સ્થાનિક ખેડૂતોની હકીકત તપાસે તેવી માંગ કરવામાં આવી છે.

‘ગ્રામસભાના ઠરાવ બાદ ખેતી શક્ય’ : વન વિભાગ
બીજી તરફ, સુરત વન વિભાગના ACF ગૌરવ કુમારે સમગ્ર મામલે વિભાગનો પક્ષ રજૂ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, હાલ વિવાદિત જમીન સુરત જિલ્લામાં આવે છે.વન વિભાગના જણાવ્યા પ્રમાણે, નિયમો મુજબ ગ્રામસભાનો ઠરાવ હોય તો જ આ જમીન પર ખેતી કરી શકાય છે. હાલ જે ખેડૂતો ખેતી કરી રહ્યા છે તેમની પાસે ખેતી માટેના આધાર પુરાવા ઉપલબ્ધ નથી તેમ અધિકારીએ જણાવ્યું છે.તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે જો ગ્રામ પંચાયત અથવા ગ્રામસભાના ઠરાવ બાદ નિયમ મુજબ ખેતી કરી શકાય તેમ હશે, તો વન વિભાગને તેનો વિરોધ નહીં હોય.
15 ઓગસ્ટ સુધી ઉકેલ નહીં આવે તો ફરી આંદોલનની ચીમકી
ખેડૂતો દ્વારા હાલ ધરણાં (Sagbara Farmers Protest) ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડૂતોને ન્યાય મળે અને જમીન પર ખેતીના હક્ક અંગે સ્પષ્ટ નિર્ણય લેવામાં આવે તેવી માંગ છે.સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું છે કે જો 15 ઓગસ્ટ સુધી ગ્રામજનોને ન્યાય નહીં મળે, તો ચોમાસુ સત્ર પૂર્ણ થયા બાદ 15 ઓગસ્ટ પછી તેઓ ફરી આંદોલનમાં જોડાશે.હાલ ધરણાં (Sagbara Farmers Protest) સ્થળે ખેડૂતો દ્વારા દિવસ-રાત આંદોલન ચાલુ રાખવામાં આવી રહ્યું છે. હવે સરકાર અને વન વિભાગ દ્વારા આ વિવાદનો ઉકેલ કઈ રીતે લાવવામાં આવે છે અને ખેડૂતોની માંગ અંગે શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો:‘કેમિકલયુક્ત દારૂ કરતાં મહુડાનો દારૂ પીવો’ : મનસુખ વસાવાના નિવેદનથી રાજકીય ગરમાવો
આ પણ વાંચો:સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી ગુજરાતના આદિવાસી રાજકારણમાં ગરમાવો, AAP સાથે સંપર્કના દાવાથી ચર્ચા તેજ
