Narmada News: નર્મદા જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે રાજપીપળા અને જૂનારાજને જોડતો મુખ્ય માર્ગ (Rajpipla Junaraj Road Washed Away) ગંભીર રીતે ધોવાઈ ગયો છે. માર્ગ તૂટી જતાં બંને વિસ્તારો વચ્ચેનો વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે અને સ્થાનિક ગ્રામજનોને રોજિંદા અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારે વરસાદમાં Rajpipla Junaraj Road Washed Away
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ, સાંસદ મનસુખ વસાવા (Mansukh Vasava) તેમજ તાલુકા પંચાયતના સભ્ય હરેશ વસાવા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે માર્ગની સ્થિતિનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓ પાસેથી નુકસાન અંગે માહિતી મેળવી અને તાત્કાલિક સમારકામ શરૂ કરવા સૂચનાઓ આપી હતી.

સ્થળ મુલાકાત દરમિયાન સ્થાનિક ગ્રામજનોએ માર્ગ ધોવાઈ જતાં સર્જાયેલી મુશ્કેલીઓ અંગે જનપ્રતિનિધિઓ સમક્ષ રજૂઆત કરી હતી. ગ્રામજનોને ખાતરી આપવામાં આવી હતી કે માર્ગને શક્ય તેટલી ઝડપથી ફરી વાહનવ્યવહાર માટે કાર્યરત બનાવવામાં આવશે.

ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે (Darshana Deshmukh) જણાવ્યું હતું કે આ માર્ગનું પાકા રોડ તરીકેનું કામ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું અને કામગીરી પણ શરૂ થઈ ગઈ હતી. જોકે, એક અરજીના કારણે કામ અટકી ગયું હતું. તેમણે જણાવ્યું કે મોટા ભાગના નાળાઓનું કામ પૂર્ણ થઈ ગયું છે અને બાકીના માર્ગ માટે પણ જરૂરી મંજૂરી મળી ગઈ છે.

હાલ ભારે વરસાદના કારણે ધોવાઈ ગયેલા માર્ગનું તાત્કાલિક સમારકામ થાય તે માટે જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. સાંસદ મનસુખ વસાવા અને તાલુકા પંચાયતના સભ્ય હરેશ વસાવાએ પણ અધિકારીઓને સૂચના આપી છે કે રસ્તાને કામચલાઉ ધોરણે વાહનવ્યવહાર માટે યોગ્ય બનાવવામાં આવે અને ત્યારબાદ યુદ્ધના ધોરણે કાયમી સમારકામ પૂર્ણ કરવામાં આવે.
સ્થાનિક લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે કે તંત્ર ઝડપથી કામગીરી પૂર્ણ કરીને આ મહત્વપૂર્ણ માર્ગ ફરી શરૂ કરશે, જેથી ગ્રામજનોને હાલાકીમાંથી રાહત મળી શકે.
આ પણ વાંચો:આવતી કાલે નર્મદા-તાપીમાં વરસાદનું રેડ એલર્ટ, સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ
આ પણ વાંચો:છેલ્લાં 24 કલાક દરમિયાન નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં સૌથી વધુ 8 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો
