ગુજરાત,
રાજ્યમાં ઠેરઠેર વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. છેલ્લા 2 દિવસમાં રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે બુધવારે અનેક જિલ્લાઓમાં કરા સાથે વરસાદ ખાબક્યો. રાજકોટમાં બપોર બાદ વાતાવરણ પલટાયું. ભર તડકા વચ્ચે વરસાદ ખાબક્યો. સૌરાષ્ટ્રના ઉપલેટા અને હળવદમાં ભારે વરસાદ સાથે કરા પડ્યા છે. આ ઉપરાંત હળવદમાં વીજળી પડતા બે લોકોના મોત થયા છે.
મહેસાણા, બોટાદ, રાજકોટ, પાટણ, ભુજના કેટલાંક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વાદળછાયુ વાતાવરણ થતા કાળાડિબાંદ વાદળા થઇ ગયા છે. સુરેન્દ્રનગરમાં વીજળી પડવાને કારણે માતા-પુત્રનું મોત થયું છે. રાજ્યમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે અને અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો ત્યારે સુરેન્દ્રનગરના હળવદમાં વીજળી પડી હતી. હળવદના મયુર નગરમાં પડતાં મહિલા અને તેના પુત્રનું મોત થયું છે. મોત બાદ બન્નેના મૃતદેહોને હોસ્પિટલ ખસેડાયા હતા.