Pakistan Politics: પાકિસ્તાન સરકારે દેશના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ‘પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ’ (PTI) પાર્ટીને “બિનશરતી વાટાઘાટો” કરવા આમંત્રણ આપ્યું છે. પાકિસ્તાન સરકારે કહ્યું કે વાતચીત રાજકીય પ્રક્રિયાનો એક ભાગ છે. જટિલ સમસ્યાઓ ત્યારે જ ઉકેલી શકાય જ્યારે બંને પક્ષો એકબીજાને સાંભળે.
ગૃહ પ્રધાન રાણા સનાઉલ્લાહ સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા, રેલવે પ્રધાન ખ્વાજા સાદ રફીકે જણાવ્યું હતું કે વિપક્ષી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી વહેલી સામાન્ય ચૂંટણીઓ પર મડાગાંઠને ઉકેલવા માટે સરકાર સાથે બેસીને વાટાઘાટો કરવી જોઈએ. તેમણે કહ્યું કે ધમકીઓ અને મંત્રણા એક સાથે ન ચાલી શકે.
નોંધનીય છે કે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને શુક્રવારે ચેતવણી આપી હતી કે જો વડા પ્રધાન શેહબાઝ શરીફની આગેવાની હેઠળની સંઘીય સરકાર વાતચીત દ્વારા મુદ્દાઓ ઉકેલ્યા પછી સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત નહીં કરે તો તેઓ પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની વિધાનસભાઓનું વિસર્જન કરશે. ઉલ્લેખનીય છે કે, પંજાબ અને ખૈબર પખ્તુનખ્વામાં પીટીઆઈ સત્તામાં છે. આ સાથે જ ખાને ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે તેમના નેતાઓ પ્રાંતીય એસેમ્બલીમાંથી રાજીનામું આપશે.
રફીકે કહ્યું કે તે અમારી સાથે બિનશરતી વાતચીત કરવા બેસે. તેમણે કહ્યું કે તેમને વાતચીતની જરૂર છે, અમારી નહીં. તેઓ વાતચીતની વાત શરૂ કરે છે અને પછી તેના વિશે વાત કરવાથી પણ સંકોચ કરે છે. તેમણે વધુમાં કહ્યું કે સંવાદ એ રાજકીય પ્રક્રિયાનો એક ભાગ છે અને જટિલ સમસ્યાઓ ઉકેલી શકાય છે જ્યારે બંને પક્ષો એકબીજાને સાંભળે.
મંત્રીએ એમ પણ કહ્યું કે એસેમ્બલીનું વિસર્જન પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝની આગેવાનીવાળી સરકાર માટે ગર્વની વાત નથી. તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે વિધાનસભાઓ તેમનો બંધારણીય કાર્યકાળ પૂર્ણ કરે.
પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે પણ શુક્રવારે મંત્રણા માટે ખાનની ઓફરનું સ્વાગત કર્યું હતું. નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયા બાદ આ વર્ષે એપ્રિલમાં ખાને વડાપ્રધાન પદ છોડવું પડ્યું હતું. ખાન પાકિસ્તાનમાં નવી સામાન્ય ચૂંટણીની માંગ કરી રહ્યા છે.
જો કે, વડા પ્રધાન શેહબાઝ શરીફના નેતૃત્વ હેઠળની સંઘીય સરકાર હાલમાં ચૂંટણી યોજવાનો વિરોધ કરી રહી છે. વર્તમાન નેશનલ એસેમ્બલીનો કાર્યકાળ ઓગસ્ટ 2023માં સમાપ્ત થશે.