Sonia Gandhi on Iran Khamenei Death: ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામૈનીના નિધન અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની ‘ચૂપ્પી’ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કોઈ દેશના વડાની હત્યા પર મૌન રહેવું એ તટસ્થતા નથી, પરંતુ તે ભારતની વિદેશ નીતિની વિશ્વસનીયતા પર શંકા ઊભી કરે છે.
“ચૂપ્પી તોડો, સંસદમાં ચર્ચા કરો”: Sonia Gandhi
સોનિયા ગાંધીએ એક અંગ્રેજી અખબારમાં લખેલા લેખ દ્વારા માંગ કરી છે કે, આગામી 9 માર્ચથી શરૂ થઈ રહેલા સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં સરકારે આ સંવેદનશીલ મુદ્દે ખુલીને ચર્ચા કરવી જોઈએ. તેમણે અત્યંત ચિંતાજનક વલણ દાખવતા લખ્યું છે કે, ચાલુ કૂટનીતિક વાતચીત વચ્ચે કોઈ પદાસીન રાષ્ટ્રધ્યક્ષની હત્યા થવી એ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ભયાનક ભંગાણ છે, પરંતુ આ ઘટના પર નવી દિલ્હીએ સેવેલું મૌન વધુ હેરાન કરનારું અને ગંભીર બાબત છે.

પીએમ મોદીની ઈઝરાયેલ યાત્રા પર નિશાન
સોનિયા ગાંધીએ પીએમ મોદીના ઈઝરાયેલ પ્રવાસનો ખાસ ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આ ગંભીર ઘટનાના માત્ર 48કલાક પહેલા જ પીએમ મોદી ઈઝરાયેલથી પરત ફર્યા હતા, જ્યાં તેમણે ગાઝામાં મહિલાઓ અને બાળકોના મોત પર દુનિયાભરમાં ફેલાયેલા આક્રોશ વચ્ચે પણ નેતન્યાહુ સરકારને ખુલ્લું સમર્થન આપ્યું હતું. તેમણે ભારત સરકારની વિદેશ નીતિ પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો કે, સરકારે ઈરાનની સંપ્રભુતાના ઉલ્લંઘન કે થયેલી હત્યાની કોઈ નિંદા કરી નથી, પરંતુ માત્ર ઈરાનના વળતા પ્રહારની ટીકા કરવા સુધી જ તેઓ સીમિત રહ્યા છે, જે એકપક્ષીય વલણ દર્શાવે છે.
“ગ્લોબલ સાઉથ ભારત પર ભરોસો કેમ કરશે?”
સોનિયા ગાંધીએ ભારતની શાખ અંગે ગંભીર ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે, જો આજે આપણે આંતરરાષ્ટ્રીય કાયદા અને સંપ્રભુતાના ઉલ્લંઘન પર ચૂપ રહીશું, તો ભવિષ્યમાં ‘ગ્લોબલ સાઉથ’ના અન્ય દેશો પોતાની સુરક્ષા માટે ભારત પર કેવી રીતે ભરોસો મૂકશે? તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે, સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર મુજબ કોઈ પણ દેશની અખંડિતતા પર હુમલો સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે અને કોઈ સેવારત નેતાની હત્યા એ આ પાયાના સિદ્ધાંતો પર સીધો પ્રહાર સમાન છે.’વસુધૈવ કુટુંબકમ’ માત્ર નારો નથી
અંતમાં સોનિયા ગાંધીએ લખ્યું છે કે ભારત લાંબા સમયથી ‘વસુધૈવ કુટુંબકમ’ની વાત કરે છે. આ માત્ર કૂટનીતિક નારો નથી, પરંતુ ન્યાય અને સંયમ પ્રત્યેની પ્રતિબદ્ધતા છે. ભારતનું વર્તમાન વલણ આપણા ઘોષિત સિદ્ધાંતોથી વિપરીત છે.
આ પણ વાંચો: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના ગૃહ જિલ્લા નાલંદામાં ચૂંટણી રેલી કરશે
આ પણ વાંચો: રાહુલ ગાંધી આજે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે, ભાજપે ઉઠાવ્યા આકરા સવાલો
આ પણ વાંચો: વારાણસીમાં રાહુલ ગાંધી વિરુદ્ધ પેન્ડિંગ અરજી પર આજે સુનાવણી

