કોલંબો,
શ્રીલંકામાં રમાઈ રહેલી નિદહાસ ત્રિકોણીય શ્રેણીમાં ભારતીય ટીમે પોતાની પ્રથમ જીત હાંસલ કરી છે. ટ્રાઇ સિરીઝના બીજા મુકાબલામાં ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે હરાવ્યું હતું. નોંધનીય છે કે, ભારતે શ્રીલંકા સામે રમાયેલી પ્રથમ મેચમાં 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી બાંગ્લાદેશની ટીમે 20 ઓવરમાં 8 વિકેટના નુકશાને 139 રન બનાવ્યા હતા. 140 રનના લક્ષ્યાંકને સિદ્ધ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે 4 વિકેટના નુકશાને વટાવ્યો હતો અને 6 વિકેટે આશાન વિજય મેળવ્યો હતો. બાંગ્લાદેશની સામેની મેચમાં પણ ઓપનર શિખર ધવને પોતાનું શાનદાર ફોર્મ યથાવત રાખ્યું હતું અને અડધી સદી ફટકારી હતી. આ ઉપરાંત સુરેશ રૈનાએ 28 અને મનીષ પાંડેએ અણનમ 27 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે આ મેચમાં બોલિંગ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિજય શંકરને મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ પહેલા પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી બાંગ્લાદેશની ટીમનો કોઈ પણ બેટ્સમેન ભારતીય બોલરો સામે ટકી શક્યા ન હતા, અને 20 ઓવરમાં 139 રન જ બનાવી શકી હતી. બાંગ્લાદેશ તરફથી લિટન દાસે સૌથી વધુ 34 રન બનાવ્યા હતા જ્યારે સબ્બીર રહેમાન 30, સૌમ્ય સરકાર 14 અને ઓપનર તમિમ ઇકબાલ 15 રન બનાવી શક્યા હતા. ભારત તરફથી ઝડપી બોલર જયદેવ ઉનડકટે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી જ્યારે વિજય શંકરે 2 અને શાર્દુલ ઠાકુર અને યજુર્વેદ ચહલે અનુક્રમે 1-1 વિકેટ ઝડપી હતી.