મુંબઈ,
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ વન-ડે મેચની શ્રેણીની ચોથી વન-ડે મેચમાં ભારતીય ટીમનો ૨૨૪ રને શાનદાર વિજય થયો હતો. ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન રોહિત શર્મા અને મિડલ ઓર્ડર બેટ્સમેન અંબાતી રાયડુએ ફટકારેલી તૂફાની સદી સાથે ટીમ ઇન્ડિયાએ વિજય મેળવી સિરીઝમાં ૨-૧ની લીડ હાંસલ કરી છે.
વર્ષ ૨૦૧૯માં ક્રિકેટનો વર્લ્ડકપ રમાંવવાનો છે, ત્યારે આ ક્રિકેટના મહાકુંભમાં રાયડુને સ્થાન મળશે કે નહિ તે અંગે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
ચોથી વન-ડેમાં શાનદાર સદી ફટકારવામાં સફળ રહેલા રાયડુનું સમર્થન કરતા વિરાટ કોહલીએ વર્લ્ડકપની ભારતીય ટીમમાં સમાવેશ કરવા અંગે લીલી ઝંડી આપી છે.
મુંબઈ ખાતે રમાયેલી ચોથી વન-ડે બાદ કોહલીએ જણાવ્યું હતું કે, “રાયડુને જયારે પણ મૌકો મળ્યો છે ત્યારે તેને પોતાનું સર્વશ્રેષ્ઠ પર્ફોમન્સ બતાવ્યું છે. અમારે ૨૦૧૯ સુધી ટીમમાં તેને સાથ આપવો જોઈએ. તે ક્રિકેટની રમતને સારી રીતે સમજી શકે છે, જેથી અમે ખુશ છીએ કે, ભારતીય ટીમના નંબર-૪ પર અમારી પાસે એક કાબિલ ખેલાડી છે”.
મહત્વનું છે કે, મુંબઈના બ્રેબોન સ્ટેડિયમ ખાતે રમાયેલી ચોથી વન-ડેમાં ટીમ ઇન્ડિયાએ ૫૦ ઓવરમાં ૩૭૭ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. ભારત તરફથી ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ ૧૬૨ રનની ઇનિંગ્સ રમી હતી, જયારે અંબાતી રાયડુએ પણ ૧૦૦ રન બનાવ્યા હતા.
ભારત દ્વારા આપવામાં આવેલા ૩૭૮ રનના વિશાળ ટાર્ગેટ સામે કેરેબિયન ટીમ માત્ર ૧૫૩ રનમાં તંબુભેગી થઇ ગઈ હતી અને ૨૨૪ રનના વિશાળ અંતરથી હારનો સ્વાદ ચાખ્યો હતો.