નોટિંઘમ,
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં ભારતીય ટીમે શાનદાર વિજય મેળવ્યો હતો. નોટિંઘમના ટ્રેન્ટબ્રિજમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં ચાઈનામેન્ટ બોલર કુલદીપ યાદવ અને રોહિત શર્માના મેચ વિનિંગ પરફોર્મન્સના કારણે ભારતે યજમાન ટીમને ૮ વિકેટે હરાવી હતી
જો કે આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ મેદાનમાં ઉતરવાની સાથે જ એક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. વિરાટ કોહલીએ ઈંગ્લેંડ સામેની મેચમાં ઉતરવાની સાથે કેપ્ટન તરીકે ૫૦મી મેચ રમી હતી. આ સાથે આ સિદ્ધિ હાંસલ કરનાર કોહલી ભારતના સાતમાં કેપ્ટન બન્યા છે.
આ પહેલા એમ એસ ધોની, સૌરવ ગાંગુલી, મોહમ્મદ અજહરુદ્દીન, કપિલ દેવ, રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકર ૫૦થી વધુ મેચોમાં ટીમની કમાન સંભાળી ચુક્યા છે.
આ ઉપરાંત કેપ્ટન કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે અત્યારસુધી રમાયેલી ૫૦ મેચો રમી છે જેમાં ટીમની જીતની ટકાવારી ૭૮ ટકા છે. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતે કુલ ૫૦ મેચોમાંથી ૩૯ મેચો પોતાના નામે કરી છે, જે એક રેકોર્ડ છે.
જો કે આ મામલે ભારતીય કેપ્ટન કરતા વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ કેપ્ટન ક્લાઈવ લોઈડ અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે.
વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતે તમામ દ્વિપક્ષીય વન-ડે સિરીઝ જીતી છે. જેમાં દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા પણ શામેલ છે.