ગુયાના: ગુયાનામાં ગુરુવારે રમાયેલી T-20 મહિલા વર્લ્ડકપની મેચમાં આયર્લેન્ડને 52 રનથી કારમો પરાજય આપીને ભારત આઠ વર્ષ બાદ આઇસીસી T-20 મહિલા વર્લ્ડકપની સેમિફાઇનલમાં પહોંચી ગયું છે.
‘વુમેન ઓફ ધ મેચ’ મિતાલી રાજે પડકારજનક સ્થિતિમાં શાનદાર અર્ધસદી ફટકારી હતી. આ મિતાલીની સતત બીજી અર્ધસદી હતી. સ્પિનરોની કરકસર યુક્ત બૉલિંગના આધારે ભારતીય ટીમે આયરલેન્ડને 52 રનથી પરાજય આપ્યો હતો.
આયર્લેન્ડની ટીમે ટોસ જીતીને ટીમ ઈન્ડિયાને પહેલાં બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ટીમ ઈન્ડિયાએ ૨૦ ઓવરોમાં છ વિકેટ ગુમાવીને ૧૪૫ રનનો સ્કૉર નોંધાવ્યો હતો. ભારત તરફથી પૂર્વ કેપ્ટન મિતાલી રાજે ૫૬ બોલમાં સૌથી વધુ ૫૧ રન બનાવ્યા હતા. આ શાનદાર ઈનિંગના કારણે ભારતીય ટીમનો જીતનો પાયો નખાયો હતો. જેના કારણે તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવી હતી.
બાદમાં ભારતીય બૉલરોની કસાયેલી બૉલિંગને આયર્લેન્ડના ખેલાડીઓ રમી શક્યા ન હતા. ભારતીય ટીમના રાધા યાદવ, દિપ્તી શર્મા અને કેપ્ટન હરમન પ્રિત કૌરની કરકસર યુક્ત બોલિંગની સામે આયર્લેન્ડની ટીમ ૨૦ ઓવરમાં માત્ર ૯૩ રનના સ્કોર પર જ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.
ભારતની સૌથી સફળ બોલર રાધા યાદવે 25 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી, જયારે દિપ્તી શર્માએ માત્ર 15 રન આપીને બે વિકેટ ઝડપી હતી તો કેપ્ટન હરમન પ્રિત કૌરે ચાર ઓવરમાં માત્ર 10 રન આપીને એક વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત વિકેટકીપર તાનિયા ભાટિયાએ ત્રણ સ્ટમ્પિંગ કરીને પોતાની વિકેટકીપિંગનું શાનદાર પ્રદર્શન કર્યું હતું.
આ સાથે જ ભારતીય ટીમે 52 રનથી આયર્લેન્ડને મેચ હરાવીને શાનદાર જીત મેળવી લીધી હતી. આ જીત સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આઠ વર્ષ બાદ આઇસીસી T-20 મહિલા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે.