મેલબર્ન,
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમનો ચાર રને પરાજય થયો હતો. આ સાથે જ યજમાન ટીમ ઓસ્ટ્રેલિયાએ ૧-૦ની લીડ બનાવી લીધી છે.
ત્યારબાદ હવે શુક્રવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની બીજી ટી-૨૦ મેચ રમાવવાની છે. ભારતીય સમય અનુસાર બપોરે ૧.૨૦ વાગ્યે મેલબર્નના MCG ગ્રાઉન્ડ ખાતે આ મેચ રમાશે.
સતત ૭ દ્વિપક્ષીય ટી-૨૦ સિરીઝ જીતી ચુકેલી ભારતીય ટીમ આ મેચ જીતીને સિરીઝ ૧-૧થી બરાબર કરવાનો પ્રયાસ કરશે.
બીજી બાજુ આ મેચમાં ટીમના પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર થઇ શકે છે. પહેલી ટી-૨૦માં સ્પિન બોલર કૃણાલ પંડ્યાએ ૪ ઓવરમાં ૫૫ રન આપી દીધા હતા, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, સ્પિન બોલર યુજ્વેન્દ્ર ચહલનો ટીમમાં સમાવેશ થઇ શકે છે.
આ ઉપરાંત ખરાબ ફોર્મમાં ચાલી રહેલા કે એલ રાહુલના સ્થાને કોઈ અન્ય બેટ્સમેનનો સમાવેશ થઇ શકે છે કે ટીમના બેટિંગ ક્રમમાં ફેરફાર થઇ શકે છે.
માનવામાં આવી રહ્યું છે કે, કેપ્ટન વિરાટ કોહલી ત્રીજા ક્રમ પર બેટિંગ કરી શકે છે અને રાહુલની જગ્યાએ મનીષ પાંડે કે શ્રેયસ ઐય્યરનો ટીમમાં સમાવેશ કરવામાં આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રિસબેનમાં રમાયેલી પ્રથમ મેચમાં યજમાન ટીમે ભારતને ૧૭ ઓવરમાં ૧૭૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ ભારતીય ટીમ માત્ર ૧૬૯ રન જ બનાવી શકી હતી અને ૪ રને હારનો સ્વાદ ચાખ્યો હતો.