નવી દિલ્હી,
એશિયા કપમાં ૧૮ સપ્ટેમ્બરના રોજ હોંગકોંગ સામે રમનારા મુકાબલાની સાથે જ ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. જો કે આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ વિરાટ કોહલી વગર મેદાનમાં ઉતારી રહી છે, ત્યારે આ અંગે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર બ્રેટ લીનું એક નિવેદન સામે આવ્યું છે.
બ્રેટ લીએ જણાવ્યું છે કે, “વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા અને શિખર ધવન ભારતીય ટીમના મહત્વપૂર્ણ ખેલાડીઓ હશે”.
રોહિત અને ધવન ભારતીય ટીમના હશે મહત્વપૂર્ણ ખેલાડીઓ
બ્રેટ લીએ પોતાના એક ઇન્ટરવ્યુંમાં કહ્યું, “એશિયા કપમાં રોહિત અને ધવન ભારતના બે પ્રમુખ બેટ્સમેન હશે. મારું માનવું છે કે, રોહિતને પોતાને અને ટીમ બંને માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે કારણ કે, તેઓ ઉપર ટીમના નેતૃત્વની જવાબદારી છે”.
રોહિત શર્માને લઈ એવી અટકળો ચાલી રહી છે કે, એશિયા કપમાં પીચો પર ડાબા હાથના ઝડપી બોલર શર્માને હેરાન કરી શકે છે. જો કે આ અંગે પૂર્વ કાંગારું ઝડપી બોલરે કહ્યું હતું કે, તેઓ આ વાતને એક તથ્ય તરીકે માનતા નથી.
તેઓએ વધુમાં કહ્યું હતું કે, UAEની નીચે રહેનારી અને ધીમી વિકેટોના કારણે બોલરો શર્મા પર હાવી થઇ શકે છે, પરંતુ મને વિશ્વાસ છે કે, રોહિત શર્મા આ પડકારનો સામનો કરી શકશે”.
મહત્વનું છે કે, એશિયા કપ ટુર્નામેન્ટમાં ૬ દેશો ભાગ લઈ રહ્યા છે અને જેમાં ભારતીય ટીમ ડિફેન્ડીંગ ચેમ્પિયન છે. આ ટુર્નામેન્ટ ૧૫ થી લઇ ૨૮ સપ્ટેમ્બર સુધી ચાલશે. એશિયા કપની તમામ મેચો દુબઈ અને અબુધાબીમાં રમાશે.