નવ દિલ્હી,
૨૦૦૭ની ટી-૨૦ વર્લ્ડ ચેમ્પિયન ટીમના સભ્ય અને ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર આર પી સિંહે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે. ૩૨ વર્ષીય આર પી સિંહ છેલ્લા કેટલાક સમયથી પોતાની ફિટનેસની સમસ્યાના કારણે ટીમમાંથી બહાર ચાલી રહ્યા હતા.
આર પી સિંહે ટ્વિટર દ્વારા ક્રિકેટમાંથી રિટાયર્ડ થવા અંગે જાણકારી આપી હતી. તેઓએ લખ્યું હતું કે, “૧૩ વર્ષ પહેલા ૨૦૦૫માં મને ભારતીય ટીમની જર્સી પહેલીવાર મળી હતી. તે મારા જીવનનો ખુબ મહત્વનો સમય હતો. આજે હું સંન્યાસ લેવાની ઘોષણા કરી રહ્યો છું ત્યારે હું એ તમામને યાદ તેમજ ધન્યવાદ કહેવા માંગું છું જેઓએ મારા ક્રિકેટના જીવનમાં મને સહકાર આપ્યો છે”.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “મારું સપનું પૂર્ણ થયું છે. હું એ ક્યારેય પણ વિચાર્યું ન હતું કે, મને આ કહેવાનો મૌકો મળશે કે મારો જન્મ એક નાના ગામમાં થયો હતો. મારા ક્રિકેટ ફ્રેન્ડસ જેઓએ મારા પર ભરોષો કર્યો, તેઓએ મારી આલોચનાઓ કરી પરંતુ ત્યાર બાદ પણ મારા માટે હંમેશા ઉભા રહ્યા, તેમને હું આભાર કહેવા માંગું છું”.
આર પી સિંહના ક્રિકેટ કેરિયરની વાત કરવામાં આવે તો, તેઓએ દક્ષિણ આફ્રિકામાં વર્ષ ૨૦૦૭માં રમાયેલા ટી-૨૦ ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં એક ઝડપી બોલર તરીકે શ્રેષ્ઠ ફાળો આપ્યો હતો.
![ટીમ ઇન્ડિયાને ટી-૨૦ વર્લ્ડકપ અપાવનારા આ ખેલાડીએ ક્રિકેટને કહ્યું અલવિદા 2 maxresdefault 1 ટીમ ઇન્ડિયાને ટી-૨૦ વર્લ્ડકપ અપાવનારા આ ખેલાડીએ ક્રિકેટને કહ્યું અલવિદા](https://api.mantavyanews.in/wp-content/uploads/2018/09/maxresdefault-1.jpg)
આ ઉપરાંત તેઓએ ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતને ઐતિહાસિક જીત અપાવવામાં સિંહ ફાળો ભજવ્યો હતો.
આર પી સિંહની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
આર પી સિંહે ભારત તરફથી ૧૪ ટેસ્ટ મેચ રમી છે, જેમાં ૪૦ વિકેટ ઝડપી હતી. ૧૪ ટેસ્ટ દરમિયાન તેઓનું વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન ૫૯ રન આપીને ૫ વિકેટ રહ્યું છે.
તેઓએ અત્યારસુધીમાં ૫૮ વન-ડેમાં ભારતીય ટીમનો ભાગ રહ્યા છે. ૫૮ મેચ રમી ૬૯ વિકેટ ઝડપી હતી. જયારે આંતરરાષ્ટ્રીય ટી-૨૦માં કુલ ૧૦ મેચમાં ૧૫ વિકેટ ઝડપી હતી.