નવી દિલ્હી,
દુનિયાભરમાં સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ ગણાતા બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI)ની એક વ્યથા સામે આવી છે. છેલ્લા ત્રણ મહિનાથી ટોચના ખેલાડીઓની વધારવામાં આવેલી સેલેરી મળી નથી. પરંતુ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આ અંગે પાંચ માર્ચના રોજ જ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
COA દ્વારા BCCIની વિશેષ બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઇ શકે છે. નોધનીય છે કે, ભારતીય ટીમના ખેલાડીઓ ૨૩ જૂનના રોજ આયર્લેન્ડ અને ઈંગ્લેંડના પ્રવાસે જઈ રહ્યા છે, તે આગામી ત્રણ મહિના સુધી ચાલશે, ત્યારે આ મુદ્દો અગત્યનો હોઈ શકે છે.
બીજી બાજુ ખેલાડીઓની સેલેરી અંગે BCCIના કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરીએ જણાવ્યું, “હા મારી પાસે કોન્ટ્રાક્ટ છે. જયારે શુક્રવારની બેઠકમાં વધારવામાં આવેલા વેતન આપવા માટેની મંજૂરી મળી જાય છે ત્યારે હું હસ્તાક્ષર કરવા માટે કટિબદ્ધ છું”.
તેઓએ વધુમાં જણાવ્યું, “પરંતુ જયારે આ મંજૂરી આપવામાં આવતી નથી ત્યારી મારા હાથ બંધાયેલા છે. કોઈ પણ પોલીસી માટે સામાન્ય સભાની મંજૂરીની જરૂરત હોય છે અને હું નિયમ તોડી શકું એમ નથી.
મહત્વનું છે કે, ભારતીય ક્રિકેટ ટીમના નવા કરાર સિસ્ટમ મુજબ, A + કેટેગરીના ખેલાડીઓને ૭ કરોડ રૂપિયા, A ગ્રુપના ખેલાડીઓને ૫ કરોડ રૂપિયા જયારે B અને C કેટેગરીના ખેલાડીઓને અનુક્રમે ૩ કરોડ અને ૧ કરોડ રૂપિયા આપવામાં આવે છે.