ગાંધીનગર
ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ તરફથી મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી નવી ૫૦ વોલ્વો બસ શરુ કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા આ સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી રુપાણીએ ગાંધીનગર ખાતે આ નવી ૫૦ વોલ્વો બસને લીલીઝંડી દર્શાવી પોતાના સંબોધનમાં જણાવ્યુ હતું કે, રાજ્યના છેવાડાના લોકોને પણ કેવી રીતે લાભ પ્રાપ્ત થાય તેને ધ્યાનમાં રાખીને સરકાર કામ કરી રહી છે. તમામ ક્ષેત્રમાં અંતિમ વ્યક્તિને ધ્યાનમાં રાખીને સરકાર વિવિધ યોજના બનાવી રહી છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, રાજ્યમાં હજારો ખાનગી વોલ્વો બસ છે. લોકો માંગ્યુ ભાડું આપે છે. આ માટે એસટીએ વધારાની વોલ્વો બસ સેવા શરુ કરવાનો નિર્ણય લીધો છે. એસટીની બસોમાં લોકોને સુરક્ષા અને સલામતીનો વિશ્વાસ છે. કંઈ થાય તો સરકાર જવાબદાર છે. આ માટે લોકોને અપેક્ષા હતી કે સરકાર વધારેમાં વધારે વોલ્વો બસ દોડાવે. સરકારની ઈચ્છા છે કે રાજ્યમાં ૪૦૦-૫૦૦ વોલ્વો બસ દોડે.
આજે એસટી તરફથી વધારાની ૫૦ વોલ્વો બસ શરુ કરવામાં આવી છે. મહત્વનુ છે કે, જુન મહિનામાં મુખ્યમંત્રી વિજય રુપાણીએ લગ્ન પ્રસંગ માટે નજીવા દરે એસટી બસ ભાડે આપવાની યોજના શરુ કરી હતી. રુપાણીએ જાહેરાત કરી હતી કે લગ્ન પ્રસંગોએ ખાનગી ટ્રાવેલ્સના વિકલ્પ સ્વરુપે સરળ અને સલામત બસની સેવા એસટી તરફથી પૂરી પાડવામાં આવશે.