ગુજરાત રાજ્યનું સૌથી મોટું કોવિડ ટ્રાયેજ સેન્ટર વડોદરા ખાતે શરુ કરવામાં આવ્યું છે. જ્યાં કોરોના હોવાની સંભાવના સાથે, અથવા તેના જેવા લક્ષણોવાળા દર્દીઓને કોવીડ ગાઈડ લાઈન પ્રમાણે ઓકસીજન સહિત જરૂરી તાત્કાલિક સારવાર આપવમ આવશે. તેની જીવન રક્ષા કરવા સયાજી હોસ્પિટલની કોવીડ બિલ્ડિંગ ના ભોંયતળીયે કોવીડ ટ્રાયેજ કાર્યરત કરવામાં આવ્યું છે.
સયાજી હોસ્પિટલમાં કોવીડ સારવારના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે,ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવ આ સુવિધા માટે ખૂબ પ્રયત્નશીલ હતા અને તેમના માર્ગદર્શન હેઠળ તે કાર્યરત કરવામાં આવી રહી છે.
અકસ્માત હોય કે શારીરિક ગંભીર બીમારી,પ્રથમ એક કલાકમાં જરૂરી સારવાર મળે તો દર્દીની જીવન રક્ષામાં ખૂબ મદદ મળે છે જેને ગોલ્ડન અવર પ્રિન્સિપલ તરીકે ઓળખવામાં આવે છે એવી જાણકારી આપતાં ડો. બેલીમે જણાવ્યું કે અન્ય હોસ્પિટલમાંથી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહેલા પોઝિટિવ તેમજ કોવીડ ના લક્ષણો જણાતા હોય તેવા અને પ્રમાણમાં જેમની હાલત નાજુક જણાતી હોય તેવા દર્દીઓને આ સુવિધા ખાતે ઓકસીજન સહિત જરૂરી સારવાર તાત્કાલિક આપવામાં આવશે.તેની તબિયતમાં સ્થિરતા આવે તે પછી ,જો કોવીડ ટેસ્ટ ના થયો હોય તેવા દર્દીનો કોવીડ ટેસ્ટ કરાશે અને પોઝિટિવ દર્દીઓને કોવીડ વોર્ડમાં ખસેડવામાં આવશે.
જો ટેસ્ટ નેગેટિવ આવે તો દર્દીને તેની તબિયતની ગંભીરતા પ્રમાણે નોન કોવીડ આઇસીયુ અથવા રોગ પ્રમાણે ના વોર્ડમાં ખસેડવામાં આવશે. આવા દર્દીને તેના સ્વજનો ઈચ્છે તો સારવાર માટે અન્ય મફત સારવાર આપતાં દવાખાનાઓમાં લઈ જઈ શકશે.સારવારના દરેક તબક્કે દર્દીને સંક્રમણ થી મુક્ત રાખવા મહત્તમ કાળજી લેવામાં આવશે.
આ સુવિધા ખાતે ચોવીસે કલાક નિષ્ણાત અને કન્સલ્ટન્ટ તબીબો,નિપુણ નર્સિંગ સ્ટાફ અને પેરા મેડિકલ ની સેવાઓ ઉપલબ્ધ રહેશે.ટેસ્ટ ના થયો હોય તો પણ દર્દી કોવીડ પીડિત હોવાની સંભાવના ને અનુલક્ષી ને જરૂરી તકેદારીઓ રાખી સારવાર કરવામાં આવશે.નિષ્ણાત તબીબો દર્દીની હાલત નું અવલોકન કરી મિનિટો માં તેને કેવી સારવાર આપવી તેનો નિર્ણય લેશે અને તે પ્રમાણે તાત્કાલિક સારવાર. શરૂ કરી દેવામાં આવશે જે દર્દીની જીવન રક્ષામાં ખૂબ નિર્ણાયક બનશે.
કોરોના એક રાષ્ટ્રીય આરોગ્ય કટોકટી છે. રાજ્ય સરકારે આ સંકટ કાળમાં એક કર્તવ્ય ગણીને પીડિતોની સારવાર અને જીવન રક્ષાના પ્રબંધો કર્યા છે. સયાજી જેવી સરકારી હોસ્પિટલો એ તેમની સારવાર નિષ્ઠા પુરવાર કરી છે. ત્યારે આ ટ્રાયેજ ની સુવિધા કટોકટીના સમયમાં દર્દીઓની જીવન રક્ષાની સૂસજ્જતા વધારનારું બની રહેશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…