અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા સિદ્ધિ ફ્લેટના બીજા માળે કોઈ અગમ્ય કારણોસર એક બ્લોકમાં આગ લાગવાની દ્દુર્ઘટના ઘટી હતી. બીજા માળે ફ્લેટમાં આગ લાગતા આસાપાસ રહેતા લોકો ધાબા પર દોડી ગયા હતા. જોકે, એક મકાનમાં અશક્ત વૃદ્ધ બહાર ન નીકળી શકતા અંદર જ જીવતા બળીને ભડથું થઇ ગયા હતા. આગની જાણ ફાયરબ્રિગેડ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
મળતી વિગત અનુસાર સ્થાનિકોએ કહ્યું હતું કે, વેજલપુર વિસ્તારમાં સિદ્ધિ ફ્લેટમાં લાગેલી આગમાં 58 વર્ષીય જીવણભાઈ સોલંકી નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે. જીવણભાઈ પોતાના પરિવાર સાથે રહેતા હતા. જીવણભાઈ પોતે શારીરિક રીતે અશક્ત હોવાથી ઘરમાં જ રહેતા હતા, ત્યારે પરિવાર કોઈ કામથી બહાર ગયો હતો અને જીવણભાઈ પોતે ઘરે એકલા હતા, ત્યારે ઘરમાં આગ લાગી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કોઈ વ્યક્તિ અંદર જઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી તેઓને બચાવી લેવા કોઈ જઈ શકતું ન હતું. આ ઘટનાને લઈને અમદાવાદ શહેર ફાયરબ્રિગેડ ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ સાંજે 5.30 આસપાસ કોલ ફાયરબ્રિગેડને મળતાં પ્રહલાદનગર ફાયર બ્રિગેડ સ્ટેશનની ગાડીઓ રવાના કરવામાં આવી હતી. આગના આ બનાવમાં એક 58 વર્ષના અશક્ત વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું. પરિવાર કામથી બહાર ગયો હોવાથી તેમને બૂમો પાડી હશે પરંતુ કોઈ સાંભળી શક્યા ન હતા. જોકે ફાયરબ્રિગેડની ટીમની ભારે જહેમત બાદ આખરે આગ કાબૂમાં આવી ગઈ હતી. ફાયરબ્રિગેડ દ્વારા મૃતક વૃદ્ધનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો. પોલીસે પણ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : નૂપુર શર્મા જ નહીં, આ નેતાઓના વિવાદાસ્પદ નિવેદનોએ પણ હંગામો મચાવ્યો