અમરેલી જિલ્લાના જંગર ગામે ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલા પિયુષભાઈ ગોબરભાઈ ગુણા જેમને નાની ઉંમરે બન્ને આંખોના દિપક બુજાઈ ગયા ત્યારે સ્કૂલના પ્રિન્સિપાલે કહ્યું તું હવે ભણી નહીં શકે. ત્યાર બાદ પીયૂષે પોતાના માતાપિતા પાસે શિક્ષણ મેળવવાની જીદ પકડી. પીયૂષના માતાપિતા ની આર્થિક પરિસ્થિતિ નબળી હતી. તેઓ પોતાના પરિવારનું ભરણ પોષણ માંડમાંડ પૂરું કરતા. ત્યારે તેમના પિતા પાસે ભણાવવાનો ખર્ચ પૂરો પાડી શકે તેમ નહોતા. તેથી તેમના ગામના અમુક ભલા વ્યક્તિઓએ તેમને ભણાવવાની જવાબદારી ઉઠાવીને ગુજરાત રાજ્યની અંધસ્કૂલોમા અભ્યાસ માટે મોકલ્યા.
પિયુષભાઈ ને જીવનમાં ઘણો બધો સંઘર્ષ કરવો પડ્યો. પીયૂષભાઈનું ભણવાનું શરૂ થયું, ત્યારે તેમના અભ્યાસ સાથે સાથે તેમના માતા પિતા અને મોટા ભાઈની માનસિક નબળી પરિસ્થિતિના કારણે, તમામ જવાબદારી પીયૂષભાઈ ઉપર હતી. તેઓ પોતે પોતાનો અભ્યાસ કરતા કરતા પોતાના માતાપિતા અને તેના ભાઈની જવાબદારીઓ પણ નિભાવતા ગયા. અંધ પીયૂષભાઈ પોતે મજૂરી કરી અને ગામોના નાના મોટા મેળામા સ્ટોલ ઉભા કરી ને બે પૈસા તેમના માતાપિતા અને ભાઈ માટે કમાવા લાગ્યા. આ કરેલી કમાણી દર પંદર દિવસે પોતાના ઘરે આવી બધો વહીવટ કરીને પાછા અભ્યાસ અને કામે લાગી જતા.
અભ્યાસ પૂર્ણ થયા બાદ પિયુષભાઈને તલાટી કમ મંત્રીની નોકરી મળી. તેમણે અંધ તલાટી કમ મંત્રીની નોકરી દોઢ થી બે વરસ કરી ત્યાર બાદ કુંકાવાવ તાલુકાના લાખાપાદર ગામે શિક્ષક તરીકેની નોકરી મળી. આ અંધશિક્ષક પીયૂષભાઈ નોકરી સાથે પોતાના ભાઈ અને માતાપિતાની સેવા અને સામાજિક ફરજ બજાવતા ગયા. સાથે સાથે પોતે પોતાના જેવા વિકલાંગો ને મદદ રૂપ થતા ગયા. પોતાની આંખોના દિપક બુજાઈ ગયા છે, છતાં બીજાના બુજાયેલા દીપકોને હૂંફ આપી નાની મોટી સહાયો આપી, પોતે ચિઠ્ઠીના ચાકર બનીને મદદ રૂપ થાય છે.
અંધ પીયૂષભાઈ ના લગ્ન થયા ત્યારે તેમના ધર્મપત્ની ઇનાબહેન શરૂમાં બે કલાક સાથે રહયા બે કલાકના પરિચયમાં પોતાની આંખો હોવા છતાં પોતે અંધ છે તેવું તેમને લાગ્યું અને પીયૂષભાઈ અંધ હોવા છતાં અંધ નથી તેવું અનુભવ્યું. આ બે કલાકના સમયમા જિંદગી તેમની સાથે વિતાવવાનો નિર્ણય કર્યો અને લગ્ન ગ્રંથિથી જોડાયા. તેઓ નિર્ણય થી ખુશ છે તેમને બે પુત્રી અને એક પુત્ર છે. સુખશાંતિ થી સંસાર ચાલે છે. તેમની મોટી દીકરીને ફક્ત પંદર વર્ષની ઉંમરે ડ્રાઇવિંગ શીખી અને પોતાના પિતાને ગુજરાતના દરેક સ્થળે અને શહેરોમાં ફેરવ્યા અને દીકરી પોતાના પિતાના હરએક કામોમાં ખંભેખભો મિલાવીને સાથે ચાલે છે.
અંધશિક્ષક પીયૂષભાઈને પોતાના ગુરુના શબ્દો ખુચ્યાં છે કે, નબળા મનના માનવીને રસ્તો મળતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, ત્યાર થી અંધશિક્ષક પીયૂષભાઈ પોતે એક નોર્મલ વ્યક્તિની જેમ બધાની સાથે રહે છે. જે લોકો સાથે રહે છે તે લોકોને ખ્યાલ નથી આવતોકે પીયૂષભાઈ અંધ છે. જંગર અને લાખાપાદર ગામોમાં સારું એવું વર્ચસ્વ ધરાવે છે. સેવાકીય પ્રવૃત્તિ થી એવોર્ડ પણ મેળવેલ છે. ગામમા દવાખાના કે કોઈ ગરીબ પરિવાર નો અડધી રાતનો હોંકારો બની નેક કામોમાં પોતાનો ફાળો આપે છે.