વિવિધ માંગણીઓ લઈને છેલ્લા 19 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલ આજે બપોરે 3 વાગ્યે પારણાં કરી લેશે, એવી જાહેરાત પાસ તરફથી કરવામાં આવી છે. પાસના કન્વીનર મનોજ પનારાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે આજે 3 વાગ્યે ખોડલધામના નરેશ પટેલના હાથે હાર્દિક પટેલ પારણાં કરશે.
હાર્દિક પટેલના પારણાંની જાહેરાત બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તરફથી મોટું નિવેદન આવ્યું છે. નીતિન પટેલે જણાવ્યું કે હાર્દિકે બિનશરતી પારણાં કર્યા, તે યોગ્ય છે.
જોકે, નીતિન પટેલે આગળ જણાવ્યું કે, હાર્દિકે વિવિધ પાટીદાર સંસ્થાઓના આગેવાનોના હાથે પાણી ન પીધું, ન તો ઉપવાસ તોડ્યા. જેથી પાટીદાર સમાજની લાગણી દુભાઈ છે.
નાયબ મુખ્યમંત્રીએ નરેશ પટેલનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે હાર્દિક દ્વારા ખોડલધામના નરેશ પટેલની પણ અવગણના કરવામાં આવી, એમના હાથે હાર્દિકે પારણાં તો શું, પાણી પણ ન પીધું.
નીતિન પટેલે આગળ જણાવતા કહ્યું કે સમાજના આગેવાનોની અવગણના કરતા, હાર્દિકે એમના હાથે પાણી ન પીધું, પરંતુ ગુજરાત સાથે જેમને લેવાદેવા નથી, એવા પક્ષના આગેવાનોના હાથે પાણી પીધું. જેથી ગુજરાતના પાટીદારોની લાગણી દુભાઈ છે.