અમદાવાદ,
હાર્દિકે 19માં દિવસે નરેશ પટેલના હાથે પારણાં કરી લીધા છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે પારણાં કરાવ્યા છે. હાર્દિકના નિવાસસ્થાને ધાર્મિક સંસ્થાના વડાઓ ઉપસ્થિત છે. સી.કે.પટેલ સહિત અન્ય અગ્રણીઓ પણ હાલ ઉપસ્થિત છે. નરેશ પટેલ, પ્રહલાદ પટેલ સહિત પાટીદાર સમાજના અગ્રણીઓની હાજરીમાં હાર્દિકે પોતાના ઘરે ઉપવાસ છાવણી ખાતે પારણા કરી લીધા હતા.
હાર્દિકનાં પારણાં અંગે સી કે પટેલનું નિવેદન આપ્યું હતું કે, 6 સંસ્થાઓનાં આગેવાનો હાર્દિકને પારણાં કરાવ્યા. પારણાં પહેલા સંસ્થાના આગેવાનો મીટિંગ કરી હતી. હાર્દિકનાં સ્વાસ્થને ધ્યાનમાં રાખી પારણાં કરવા સમજાવ્યો છે. સમાજના આગેવાનોની હાજરીમાં પારણાં કર્યા છે..
હાર્દિક પટેલ 25મી ઓગસ્ટ, 2018થી આમરણાંત ઉપવાસ પર બેઠો હતો. આ દરમિયાન તેની તબિયત નાજુક થતાં તેનો હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યો હતો. અંતે પાટીદાર સમાજના અગ્રણીઓની સમજાવટ બાદ હાર્દિકે પારણાં કરી લીધા હતા.
પાસ કન્વીનર મનોજ પનારાએ આ અંગેની જાહેરાત કરી હતી કે ખોડલધામના નરેશ પટેલ અને ઉમાધામના પ્રહલાદ પટેલ ત્રણ વાગ્યા હાર્દિક પટેલને પારણાં કરાવશે. હાર્દિક પટેલ આજે બપોરે ત્રણ વાગે પારણાં કરી લેશે.
મંગળવારે સંસ્થાઓના પ્રતિનિધિઓ હાર્દિકને મળ્યા હતા. તેમણે હાર્દિક પટેલને પારણાં કરવા માટે સમજાવ્યો હતો. સમાજના તમામ આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ હાર્દિકને મળવા આવેલા વડીલોએ હાર્દિકને પારણાં કરી લેવા વિનંતી કરી હતી.
વડીલોએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે સમાજના દરેક લોકોની ઈચ્છા છે કે હાર્દિકને પારણાં કરી લેવા માટે સમજાવવામાં આવે. હાર્દિકે તેમની પાસે બુધવાર સુધીનો સમય માંગ્યો હતો.
આ દરમિયાન ગુજરાતભરના પાસના કન્વીનરોનો અમે સંપર્ક સાધ્યો હતો. તમામ કન્વીનરોએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે હાર્દિક પટેલ જીવતો રહેવો જોઈએ. આ માટે તમામે હાર્દિક પારણાં કરી લે તેવો મત વ્યક્ત કર્યો હતો. હાર્દિક જીવતો અને તંદુરસ્ત રહેશે તો સરકાર સામે લડી શકશે.