અમદાવાદની સાબરમતી જેલ ફરી એકવાર ચર્ચામાં છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક કેદીએ બીજા કેદી પર હુમલો કર્યો હોવાની ઘટના બહાર આવી છે. ઇજાગ્રસ્ત કેદીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કેદીએ શા માટે અન્ય કેદી પર હુમલો કર્યો તે હજુ સુધી સામે આવ્યું નથી. રાણીપ પોલીસે હુમલો કરનાર કેદી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જૂની જેલમાં બડાચક્કર બેરેક નં.4માં આફટર બેરેકમાં બે કેદી વચ્ચે ઝઘડો થયો છે. કેદીને ઇજા થઇ હોવાથી જેલના દવાખાને સારવાર માટે લઇ જવાયો હતો. પાકા કામના કેદી પ્રવીણભાઇ રણછોડભાઇ હરિજનને મોઢાના અને માથાના ભાગે ઇજા થઇ હતી. તેથી ડોકટરે તેઓને તાત્કાિલક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાનું કહેતા તેને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
બેરેકમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરતા બેરેકમાં રહેતા પાકા કામના કેદી મોહંમદ સદ્દામ ઉર્ફે ઔરંગઝેબ મોહંમદ જાસ્મીન શેખ એ કેદી પ્રવીણભાઇને બહારથી પથ્થર લાવી માથામાં માર્યો હતો. ઉપરાંત ફરી છુટ્ટો પથ્થર મારી ઇજા કરી હતી. રાણીપ પોલીસે મગનભાઇ ખરાડીની ફરિયાદના આધારે કેદી મોહંમદ સદ્દામ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.