સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નગસેન નગર મુકામે ચાલતા પ્રતિબંધિત દારૂના તમામ અડ્ડાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિને નાબૂદ કરવાની મુહિમ સાથે પાંડેસરા નગસેન નગરના તમામ સ્થાનિકો એકઠા થઇ એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. સુરત પોલીસ કમિશનર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
સુરતના પાંડેસરા નગસેન નગરના રહીશોએ સુરત પોલીસ કમિશ્નર ને આવેદનપત્ર પાઠવતા જણાવ્યું હતું કે, સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નગસેન નગર સોસાયટી કાયમી સ્થાનિક રહેવાસી છીએ. આ વિસ્તારમાં લગભગ 7 થી 8 હજાર લોકો પરિવાર સહિત રહે છે.
ગુજરાત રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં નગસેન નગરમાં 20 થી 25 દારૂના અડ્ડાઓ બુટલેગરો દ્વારા બેરોકટોક ચલાવવામાં આવી રહ્યા છે. જેના કારણે અહીંના રહીશો ખાસ કરીને મહિલાઓ અને બાળકોના માનસપટ પર વિપરીત અસર પડે છે.
જેથી નગસેન નગરના તમામ રહીશો આજે મોટી સંખ્યા માં એકઠા થઇ સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ થી સુરત પોલીસ કમિશ્નર કચેરી સુધી પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં 500થી વધુ રહીશો જોડાયા હતાં.
રેલી બાદ સુરત પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. જો તેમની માંગને ધ્યાને લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.