મહેનત કોને નથી કરવી પડતી? એક દિવસના નવજાત શિશુને પણ પોતાની ભૂખ તૃપ્ત કરવા માટે મહેનત કરવી જ પડે છે. દરેક વ્યક્તિ એ જીવનના દરેક તબક્કામાં, ઓછી કે વધારે, પણ મહેનત તો કરવી જ પડે છે. મહેનત કરવાથી જ મનગમતું ફળ પ્રાપ્ત થાય છે. પરિશ્રમ આજે નહીં તો કાલે પોતાનું પરિણામ આપે જ છે. પરિણામ પામવાની ઉતાવળમાં મહેનતમાં પૂરતી કાળજી ન અપાય એ તો જરાય યોગ્ય ન કહેવાય.
દરેક વ્યક્તિ ને લાગે છે કે એ જ સૌથી વધારે મહેનત કરે છે. નાના બાળકને લાગે છે કે એ ભણવામાં અને રમવામાં ઘણું પરિશ્રમ કરે છે જ્યારે એક ગૃહિણી પોતાને જ ઘર સંભાળવામાં સૌથી વધારે મહેનતુ ગણે છે. ઘરના માણસ ને લાગે છે કે એ બહાર જઈને, નોકરી ધંધો કરીને ખૂબ પરિશ્રમ કરે છે જ્યારે ઘરના વડીલોના મતે તેઓ ઘરનું અને બાળકોનું ધ્યાન રાખવામાં ઘણી મહેનત કરી રહ્યા છે. પરિશ્રમનું રૂપ ભલે ગમે તે હોય, પણ એનું પરિણામ હંમેશા સકારાત્મક અને સંતોષજનક જ હોય. મહેનત કરનાર વ્યક્તિને ક્યારેય અસંતોષની અનુભૂતિ નથી થતી. અસફળતા ભલે પ્રાપ્ત થાય પરંતુ મહેનત કરી હોવાનો એને સદૈવ ગર્વ રહે છે. તે હંમેશા વધારે મહેનત કરવા તૈયાર હોય છે જેથી એને હાલ નહીં તો ભવિષ્યમાં સફળતાં નો અનુભવ અવશ્ય થશે.
આ વર્ષે બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ ઘણા નિરાશ થયા છે. તેમને લાગે છે કે સ્કૂલ અને ક્લાસિસ બંધ હોવાના કારણે એમના ભણતરનું આકરું નુકસાન થયું છે, પરંતુ એમ નથી. જે વિદ્યાર્થી આ પરિસ્થિતિમાં પણ મહેનત કરી જાણે એની માટે તો આ વધારાનો સમય એક આશીર્વાદ કરતા ઓછો નથી. આ વધારાના સમયમાં દરેક વિદ્યાર્થીએ વારંવાર દરેક પાઠનું પુનરાવર્તન કરવું, ગણિતના અલગ અલગ દાખલાઓ નો અભ્યાસ કરવો, ભાષાના વિષયોમાં લેખન અને વ્યાકરણનો પૂરતો સ્વાધ્યાય કરવો અને વિવિધ રીતે પોતાના જ્ઞાનની કસોટીઓ લેતું રેહવું. બોર્ડની મોટી પરીક્ષા પહેલા જે વિદ્યાર્થી નાની નાની કસોટીઓ પૂર્ણ પ્રમાણિકતા અને પરિશ્રમથી પાસ કરશે, તેની માટે બોર્ડની પરીક્ષા કોઈ મોટી બાબત નહીં રહે. ફક્ત અભ્યાસક્રમ મોઢે કરવું જ પૂરતું નથી, પણ એમાંથી કેટલું યાદ છે અને કેટલું નહીં, એ જાણવું પણ એટલું જ મહત્વનું છે. એટલે પૂર્ણ અભ્યાસક્રમ વાળા પ્રશ્નપત્ર પહેલા નાના નાના ટેસ્ટ લઈને વિદ્યાર્થીઓ એ પોતાનો અભ્યાસ પાક્કો કરવો જરૂરી છે, જેનાથી પૂર્ણ અભ્યાસક્રમ વિગતવાર તૈયાર થઈ જાય.
ભગવાન કૃષ્ણ એ ગીતામાં કહ્યું છે, “ કરમણન્યે વાધિકારસ્તે, મા ફલેશું કદાચન” જેનો અર્થ છે કે વ્યક્તિ એ હંમેશા પોતાના કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ના કે એનાથી પ્રાપ્ત થતાં પરિણામ પર. નિઃસ્વાર્થ પણે જે વ્યક્તિ પોતાનું કર્મ કરે છે, પોતાના કર્મ પર દ્રઢ વિશ્વાસ રાખે છે અને એના પરિણામની ચિંતામાંથી મુક્ત થઈ ફક્ત કર્મ કરવામાં નિષ્ઠા દાખવે છે એને હંમેશા કર્મનું ફળ મીઠું જ પ્રાપ્ત થાય છે. પરીક્ષામાં હાજર થનાર દરેક વિદ્યાર્થી માટે પણ આ વાત લાગુ પડે છે. પરીક્ષાનું પરિણામ આપણાં હાથમાં નથી, પરંતુ પરીક્ષા માટે સતત મહેનત કરવું આપણાં જ હાથ માં છે.
છેલ્લે બસ એટલુંજ કે ખૂબ મહેનત કરી આગળ વધો અને જો મનધાર્યું પરિણામ ન મળે તો પણ આ પરીક્ષા એ જીવનનું અંત નથી અને ફરી મહેનત કરવું હમેશાં આપણાં હાથમાં જ છે એ હંમેશા યાદ રાખવું. All the best !
@સ્નેહા ધોળકીયા