દિશા સાલિયાનના મૃત્યુ મામલે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે અને તેમના પુત્ર અને ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેને સમન્સ પાઠવવામાં આવ્યા છે. માલવાની પોલીસ સ્ટેશને નારાયણ રાણેને 4 માર્ચે સવારે 11 વાગે નિવેદન નોંધવા અને નિતેશ રાણેને 3 માર્ચે હાજર થવા નોટિસ ફટકારી છે. અગાઉ દિશા સાલિયાનના સંબંધીઓને બદનામ કરવા બદલ બંને વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.
નારાયણ રાણે અને તેમના ધારાસભ્ય પુત્ર નિતેશ રાણે પર દિવંગત બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પૂર્વ મેનેજર દિવંગત દિશા સાલિયાનના પરિવારજનોને અલગ-અલગ મીડિયા પ્લેટફોર્મ પર બદનામ કરવાનો આરોપ છે. આ મામલામાં દિશાની માતા વાસંતી સાલિયાનની ફરિયાદ પર મુંબઈ પોલીસે ગયા મહિને બંને વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. એફઆઈઆર ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 211, 500 અને કલમ 67 સહિત ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ નોંધવામાં આવી છે. વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
વાસંતી સાલિયનએ મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન ફોર વુમન (MSWC) નો સંપર્ક કર્યો હતો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સાલિયન પરિવારને બદનામ કરવા બદલ નારાયણ રાણે, નિતેશ રાણે અને અન્યો સામે પગલાં લેવાની માંગ કરી હતી. MSWC એ પછી પોલીસને દિશા સાલિયાનના મૃત્યુ વિશે ખોટી માહિતી ફેલાવતા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરવા અને આ સંબંધમાં નારાયણ રાણે અને નિતેશ બંને સામે પગલાં લેવા જણાવ્યું હતું.
શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં, MSWC પ્રમુખ રૂપાલી ચકાંકરે જણાવ્યું હતું કે માલવાની પોલીસે (મુંબઈમાં) કમિશનને જણાવ્યું છે કે સાલિયાનના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવાયું છે કે તેણી પર બળાત્કાર થયો નથી અને તે ગર્ભવતી નથી. પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે, નારાયણ રાણેએ દિશા સાલિયાનના મૃત્યુને લઈને ઘણા દાવા કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે દિશા સાલિયાને 8 જૂન, 2020ના રોજ ઉપનગરીય મલાડમાં એક બહુમાળી ઈમારત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આના છ દિવસ પહેલા રાજપૂત (34) ઉપનગરીય બાંદ્રામાં તેના એપાર્ટમેન્ટમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો.