National News/ વિદ્યાર્થીઓના સવાલો અને અસંમતિને લઈને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જલ ભુયાનનું મોટું નિવેદન ….

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ Ujjal Bhuyanએ વિદ્યાર્થીઓના હકમાં મોટું નિવેદન આપતા કહ્યું છે કે સવાલો પૂછવા બદલ સજા આપવી ગેરબંધારણીય છે. તેમજ અમેરિકી કોર્ટે પણ ટ્રમ્પના આદેશ સામે વિદ્યાર્થીઓને રક્ષણ આપ્યું છે.

NATIONAL Top Stories India
Ujjal Bhuyan

Supreme Court Judge Ujjwal Bhuyan: નવી દિલ્હીમાં દિલ્હી લો યુનિવર્સિટીના પદવીદાન સમારોહ દરમિયાન સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ ઉજ્જલ ભુયાને(Ujjal Bhuyan) વિદ્યાર્થીઓના સવાલો, અસંમતિ અને વિચારોની સ્વતંત્રતાને લઈને મહત્વપૂર્ણ વાત કહી. તેમણે કહ્યું કે લોકશાહીમાં સવાલો પૂછવા અને અલગ અભિપ્રાય વ્યક્ત કરવો બંધારણીય જવાબદારીનો ભાગ છે. માત્ર સવાલો પૂછવા બદલ વિદ્યાર્થીઓને ધમકાવવા કે તેમની સામે કાર્યવાહી કરવી ગેરબંધારણીય છે.

સવાલ પૂછવો નાગરિકતાનો મહત્વનો ભાગ

જસ્ટિસ ઉજ્જલ ભુયાને(Ujjal Bhuyan) કહ્યું કે સવાલો પૂછવા એ નાગરિકતા, સ્વતંત્રતા અને બંધારણીય જવાબદારીનો મહત્વપૂર્ણ હિસ્સો છે. લોકશાહીમાં સવાલ પૂછવાને આજ્ઞાનું ઉલ્લંઘન ગણી શકાય નહીં. જો કોઈ વિદ્યાર્થી સત્તા સામે સવાલ કરે અથવા અલગ વિચાર વ્યક્ત કરે તો તેને ડરાવી કે ધમકાવી શકાય નહીં. જસ્ટિસ ભુયાનના(Ujjal Bhuyan) જણાવ્યા અનુસાર, લોકશાહીમાં દરેક વ્યક્તિ એકસરખું વિચારે તે જરૂરી નથી. અલગ-અલગ વિચારો અને અભિપ્રાયોને સન્માન સાથે સાંભળવામાં આવે ત્યારે લોકશાહી વધુ મજબૂત બને છે. તેમણે કહ્યું કે અસંમતિ પ્રત્યે સહિષ્ણુતા રાખવી બંધારણીય મૂલ્યોનો મહત્વપૂર્ણ ભાગ છે.

Ujjal Bhuyan

યુનિવર્સિટી સ્વતંત્ર વિચારનું પ્રથમ સ્થાન

જસ્ટિસ ભુયાને(Ujjal Bhuyan) કહ્યું કે યુનિવર્સિટી એવી જગ્યા છે જ્યાં વિદ્યાર્થીઓમાં સ્વતંત્ર રીતે વિચારવાની ટેવ વિકસે છે. શિક્ષણ માત્ર પુસ્તકી જ્ઞાન પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ, પરંતુ વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવા અને વિવિધ વિચારોને સમજવાની તક પણ મળવી જોઈએ. તેમણે કહ્યું કે ભારત બુદ્ધ અને ગાંધીની ધરતી છે અને અહીં અસહિષ્ણુ વિચારધારા માટે સ્થાન ન હોવું જોઈએ. ભારતનું બંધારણ લોકોના બોલવાના, વિચારવાના અને પોતાના અલગ વિચારો વ્યક્ત કરવાના અધિકારનું રક્ષણ કરે છે.

ઇઝરાયેલની ટીકા બદલ વિદ્યાર્થીઓને કાઢી ન શકાય

અમેરિકામાં પણ વિદેશી વિદ્યાર્થીઓની અભિવ્યક્તિની સ્વતંત્રતાને લઈને એક મહત્વપૂર્ણ કોર્ટનો નિર્ણય સામે આવ્યો છે. કેલિફોર્નિયાના ફેડરલ જજ નોએલ વાઇઝે કહ્યું કે ઇઝરાયેલની ટીકા કરવા બદલ ટ્રમ્પ પ્રશાસન વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકામાંથી હાંકી શકે નહીં. જજે અભિવ્યક્તિની સ્વતંત્રતાને અમેરિકી લોકશાહીનો પાયો ગણાવ્યો. તેમણે ચેતવણી આપી કે જો સરકાર વિદ્યાર્થીઓની અભિવ્યક્તિને નિશાન બનાવશે તો આવતીકાલે એવા અન્ય લોકો પણ નિશાન બની શકે છે, જેમના વિચારો સરકારને પસંદ ન હોય. આ નિર્ણયથી અમેરિકામાં અભ્યાસ કરી રહેલા ભારતીયો સહિતના વિદેશી વિદ્યાર્થીઓ માટે પણ મહત્વપૂર્ણ સંદેશ ગયો છે.


આ પણ વાંચો: સગીર આરોપીને આજીવન કેદ નહીં! સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો

આ પણ વાંચો: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; વીર સાવરકર માનહાની કેસ અને સમન રદ

આ પણ વાંચો: પેકેટ ફૂડ પર ચેતવણી લેબલને લઈ સુપ્રીમ કોર્ટનું સખત વલણ, FSSAIને કોર્ટે કહ્યું- ‘ લોકાના સ્વાસ્થ્યને ગંભીરતાથી લો’