સુરત,
સુરતમાં ગુરુવાર મોડીરાતે વધુ એક દર્દીનું સ્વાઈન ફ્લૂના કારણે મોત થયું. સગરામપુરાની ખાનગી હોસ્પિટલમાં ડભોલીના વૃદ્ધનું મોત થતાં સ્વજનોએ સારવારમાં ખામીનો આરોપ મુક્યો અને મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. મામલો બિચકતા પોલીસને બોલાવવી પડી..તેમ છતાં મોડીરાત સુધી પરિવારજનો અને હોસ્પિટલના સંચાલકો વચ્ચે રકઝક યથાવત રહી હતી.
મહત્વનું છે કે મૂળ ઉત્તરપ્રદેશના અને ડભોલી વિસ્તારમાં રહેતાં સ્વામીનાથ મિશ્રાને 18 સપ્ટેમ્બરે કૈલાશ નગર સ્થિત વ્હાઈટ હાઉસની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયાં હતાં.
સારવાર દરમ્યાન સ્વામીનાથની તબિયત બગડતાં તેમને વેન્ટિલેટર પર રખાયા હતા. પરંતુ 9 દિવસની સારવાર બાદ ગુરુવારે રાતે 11 વાગ્યા આસપાસ સ્વામીનાથનું મોત થયું હતું.
વેન્ટિલેટર બંધ થઈ ગયું હોવાથી તેમજ યોગ્ય સારવાર ન મળી હોવાના લીધે મોત થયાનો તેમના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો. રાતભર રકઝક બાદ સવારના સમયે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો..સ્વામીનાથના પરિવારજનોએ ડોક્ટર અને મેનેજમેન્ટ સામે બેદરકારીની ફરિયાદ કરી છે.