@રિધ્ધિ પટેલ
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. મંદિરના નિર્માણ માટે રામ ભક્તોની મદદ લેવામાં આવી રહી છે. દેશના મોટાભાગના ગામડા અને શહેરોમાં ચાલનારા આ અભિયાનમાં મંદિરના સ્વૈચ્છિક નિર્માણ માટે ભક્તો દ્વારા આપવામાં આવતી આર્થિક સહાય સ્વીકારવામાં આવી રહી છે ત્યારે સુરત શહેર દ્વારા પણ મોટો સહયોગ આપવામાં આવ્યો છે.
રામ જન્મભૂમિ મંદિર નિર્માણ ભંડોળ સમર્પણ સમિતિ દેશભરમાં બાંધકામ ભંડોળ સંગ્રહ અભિયાન ચલાવી રહી છે, જે 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ અભિયાનમાં દેશના ઉદ્યોગપતિઓથી લઈને ગરીબ અને મજૂરો સુધીના દરેકને મંદિરના નિર્માણમાં ભાગ લેવા વિનંતી કરવામાં આવી હતી. સૂત્રોના માનીએ તો અત્યાર સુધીમાં સુરતમાંથી 40 કરોડનો ભંડોળ તો દેશભરમાંથી 1600 કરોડથી વધુ ભંડોળ એકત્રિત થયો છે.
કેટલાક દિવસ પહેલા રામ મંદિરના ખજાનચી ગોવિંદ દેવ ગિરી સુરત આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે રામ મંદિર નિર્માણ માટે સુરત સહિત દેશભરમાંથી સારો સહયોગ મળી રહ્યો છે. 11 ફેબ્રુઆરી સુધીમાં 1511 કરોડની રકમ એકત્રિત કરવામાં આવી હતી. મંદિરને મળેલા દાનની સંપૂર્ણ વિગતો 28 ફેબ્રુઆરીએ મળશે.
હજી સુધી, કોઈ પણ શહેર અથવા રાજ્ય તરફથી દાન આપવા વિશે સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. ભંડોળ ભેગું કરવા માટે આ અભિયાન 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. પછીથી, કુપનથી દાન સ્વીકારવાનું બંધ કરવામાં આવશે. બાદમાં દાન કરવા માટે રસ ધરાવતા લોકોએ ઓનલાઇન દાન કરી શકશે.