ઓલપાડ,
સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને કારણે અમુક વિસ્તારો જયારે જળબમ્બાકાર થયા છે ત્યારે બીજી બાજુ અમુક ક્ષેત્રોમાં વરસાદના અમીછાંટણા માત્ર જ થયા છે. એવામાં જો સુરત વિસ્તારની જો વાત કરવામાં આવે તો સુરતમાં મેઘરાજે પોતાની મહેર વરસાવી છે.
ઓલપાડ તાલુકામાં વરસેલા ૭ ઇંચ વરસાદે ઓલપાડને પાણીથી તરબોળ કરી નાખ્યું છે. ભારે વરસાદનાં કારણે ઓલપાડ ટાઉનના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જયારે તાલુકાના ઓરમાં અને હાથીસા જેવા ગામો પાણીમાં ગરકાવ થયા હતા.
જોકે છેલ્લા ૪ થી ૫ વર્ષથી થોડા જ વરસાદમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. ઓલપાડના સરદાર આવાસ વિસ્તારમાં ૩૬ કલાક વીતવા છતાં હજુ પણ વરસાદી પાણી ઊંડા ઉતર્યા નથી. ત્યારે સરદાર આવાસના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આપણે જણાવી દઈએ કે સરદાર આવાસના લોકોને રોડ અને ફૂટપાથ પર રેહવા માટે મજબુર બની ગયા છે.
તો બીજી તરફ ઓરમાં ગામ અને હાથીસા ગામ તેમજ ઓલપાડ સરકારી કચેરીઓ પણ પાણી ભરાઇ ગયું હતું. જોકે છેલ્લા ૪-૫ વર્ષથી ઓલપાડમાં ભરાય રહેલા પાણીના કારણે ત્યાંના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે ઓલપાડ દરિયા કિનારાના લગતા ગામોમાં બનાવવામાં આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવો ઝીંગાના ઉછેર માટે મીઠા અને ખારા એમ બંને પાણીની જરૂર હોઈ છે. ભારે વરસાદના કારણે તે ઝીંગા ઉછેર તળાવોમાં દરિયા અને નદીના પાણી એમ બંને પાણીથી ભરાયા છે.
આ વરસાદના નવા પાણી ઓલપાડનો કાંઠા વિસ્તાર આશીર્વાદ રૂપ છે. ઓલપાડ તાલુકામાં આશરે ૨૫૦૦ થી વધુ ઝીંગાના તળાવો હાલ બનેલા છે જે પેકીના ૨૦૦ તળાવો પણ કાયદેસર નથી. આ તળાવો બની જવાના કારણે ઓલપાડ તાલુકામાં વરસતા વરસાદી પાણી જે સીધા સેના ખાડીમાં થઇ દરિયામાં જતા હતા તે પાણીનો સીધો ભરાવો થવાના કારણે પ્રતિકૂળ પરિસ્થિતિનું સર્જન થઇ રહ્યું છે.
આ હાલાકીના રોષે ભરાયેલા ઓલપાડ વિસ્તારના સરદાર આવાસના સ્થાનિક તારા બેને જણાવ્યું હતું કે,
“તંત્રએ અમને જણાવ્યું હતું કે આવી સ્થિતિ સર્જાતા તમને જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે. પરંતુ આવી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરી નથી. જયારે અમારે હાલ રોડ અને ફૂટપાથ પર રહેવાનો વારો આવ્યો છે.”
જયારે આ મુદ્દે સુરતના કોંગ્રેસ જિલ્લા પ્રમુખ જગદીશ પટેલે આ અંગે જણાવ્યું હતું કે,
“આ ઝીંગાના તળાવોના કારણે જ અહીં પાણીનો ભરાવો થયો છે. જયારે આ મુદ્દે અમે કલેક્ટરશ્રી ને લેખિત એપ્લિકેશન પણ આપેલી છે. જેમાં કલેક્ટરશ્રીને જણાવવામાં આવેલું છે કે આ ઝીંગાના તળાવોના કારણે ચોમાસામાં આ વિસ્તારોમાં પાણી ભરાશે જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડશે. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને આ શહેરના બિલ્ડરોના ગેરકાયદેસર તળાવો અડીખમ સ્થિતિમાં છે. જે કારણે વિસ્તારમાં પાણી ભરાવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.”