બોટાદનાં ઢસા ગામે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળનાં સ્વામી અક્ષરપ્રકાશ દાસજી પર ચોરીનાં ઈરાદે આવેલ શખ્સોએ ખૂની હુમલો કરતા તે ગંભીર રીતે ઘવાયા છે. સ્વામીને તાકીદે સારવાર અર્થે ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે, આ ઘટનાની જાણ થતાં પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ સહિતનાં કાફલાએ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી હતી.
બોટાદ જિલ્લાનાં ગઢડા તાલુકાનાં ઢસા ગામ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં ગઈકાલે મોડીરાત્રે ચોરી કરવાના ઇરાદે એકથી વધુ શખ્સો દ્વારા ગુરુકુળમાં પ્રવેશ કરી ચોરી કરવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો. જો કે સ્વામિનારાયણ ગુરુકુળનાં મુખ્ય સંચાલક સ્વામી અક્ષરપ્રકાશ દાસજી જાગી જતા તેઓએ પ્રતિકાર કર્યો હતો પરંતુ આ શખ્સોએ તેમના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા તે ઘાયલ થઇ ગયા હતા.
આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલ સ્વામીને તાકીદે સારવાર અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતા જ બોટાદ જિલ્લા પોલીસવડા હર્ષદ મહેતા ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ સહિતનાં ઉચ્ચ પોલીસ અધિકારીઓને કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.