લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ માં નટુકાકાની ભૂમિકા ભજવતા અભિનેતા ધનશ્યામ નાયકનું 77 વર્ષની ઉંમરે નિધન થયું છે.પાંચ મહિના પહેલા ગળામાં કેટલાક સ્પોટ્સ જોવા મળ્યા, ત્યારબાદ આગળની સારવાર શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. તેમના પુત્રએ કહ્યુ હતુ કે, એપ્રિલ મહિનામાં ગળાનું પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી સ્કેનિંગ કરાવવામાં આવ્યું, જેનાથી બીમારીની માહિતી મળી હતી.
તારક મહેતા કા ઉલટા ચશ્માંના અભિનેતા ઘનશ્યામ નાયક એટલે કે નટુકાકાનું અવસાન થયું છે. નટુકાકાએ જીવનના રંગમંચ પરથી વિદાય લીધી છે. નટુકાકાના અવસાનથી ગુજરાતી અભિનય જગતમાં મોટી ખોટ પડી છે. તેઓ છેલ્લા સમયથી બીમાર હતા.
ઘનશ્યામ નાયકનો જન્મ 12 મે, 1945ના રોજ મહેસાણા જિલ્લાનાં વડનગર તાલુકાના ઊંઢાઈ ગામમાં થયેલો. તેમણે આશરે 100 જેટલાં નાટક અને 223 ચલચિત્રોમાં અભિનય કરેલો છે. તેમણે બાળવયે શોભાસણ ગામે આવેલા રેવડીયા માતાના મંદિરે ભવાઇમાં સ્ત્રીપાત્ર ભજવ્યું હતું અને ત્યાર પછી મુંબઇ જઇ રામલીલામાં બાળ કલાકાર તરીકે કામ શરૂ કર્યું હતું.
ઘનશ્યામ નાયકના પિતા પ્રભાકર નાયક તથા દાદા કેશવલાલ નાયક પણ નાટ્ય અને ચલચિત્રોના કલાકાર રહી ચૂક્યા છે. તેમના વડદાદા, વાડીલાલ નાયક, શાસ્ત્રીય સંગીતના પ્રખર હિમાયતી હોવાની સાથો સાથ ધરમપુર અને વાંસદાના રાજવી પરિવારના સંગીતાલયમાં સંગીતના આચાર્ય હતા. સંગીતકાર બેલડી શંકર-જયકિશનમાંના જયકિશનના તેઓ ગુરૂ હતા. આમ, ચાર પેઢીથી તેઓનો પરિવાર કલાને સમર્પિત છે.