જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષાદળોની સંયુક્ત ટીમ પર આતંકીઓએ હુમલો કર્યાના સમાચાર છે. સુરક્ષા દળોની સંયુક્ત ટીમ પર થયેલા ગ્રેનેડ હુમલામાં એક પોલીસકર્મીનું મોત થયું હતું અને 5 લોકો ઘાયલ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
શુક્રવારે, જમ્મુ અને કાશ્મીર પોલીસે માહિતી આપી હતી કે, બાંદીપોરામાં પેટ્રોલિંગ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. આ હુમલો પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પેરામિલિટરી ફોર્સ (CRPF)ની સંયુક્ત ટીમ પર કરવામાં આવ્યો હતો.
આ હુમલામાં પાંચ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. જ્યારે એક પોલીસકર્મી શહીદ થયા હતા. શહીદની ઓળખ SPO ઝુબેદ અહેમદ તરીકે થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે હુમલાખોરોની શોધમાં સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તેમની શોધખોળ શરૂ કરી છે.
જમ્મુ-કાશ્મીર પોલીસ અને ભારતીય સેના બંનેએ છેલ્લા કેટલાક મહિનાઓથી આતંકવાદીઓ વિરુદ્ધ આતંકવાદ વિરોધી અભિયાન ચલાવ્યું છે. જેના કારણે આતંકીઓની અંદર ગુસ્સો જોવા મળી રહ્યો છે. આતંકવાદીઓએ હવે છુપાઈને હુમલા કરવાનું શરૂ કરી દીધું છે. તાજેતરના દિવસોમાં આતંકવાદીઓએ પોલીસના વાહનો પર ગ્રેનેડ ફેંકવાનું શરૂ કર્યું છે. આ સિવાય સુરક્ષાદળોના કાફલા પર ફાયરિંગની પણ ઘટના બની છે. જો કે ભારતીય સેના અને પોલીસ દળના જવાનો આતંકીઓને જડબાતોડ જવાબ આપી રહ્યા છે.