- મોરબી હોનારતને પગલે રાજ્યભરમાં શોક જાહેર
- ટાગોર હોલ પર પ્રાથના સભાનું આયોજન
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,સાંસદ અને MLA ઉપસ્થિત
મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનનાને લઇ સમગ્ર ગુજરાતમાં આજે રાજ્યવ્યાપી શોક જાહેર કરાયો છે. રાજ્યની તમામ સરકારી સંસ્થા પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે. રાજ્ય સરકારના તમામ કાર્યક્રમો, સત્કાર સમારંભ રદ્દ કરવામાં આવ્યા છે. ઝૂલતા પુલની હોનારતના મૃતકોને રાજ્યમાં અલગ અલગ જગ્યાએ વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવાશે. અમદાવાદના ટાગોર હોલમાં દિવંગત આત્માઓ માટે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્મમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સાંસદ અને ધારાસભ્યો હાજર રહ્યા છે, આ પ્રાર્થના સભામાં અનેક લોકો સામેલ હતા. મોરબી દિવંગતોને મુખ્યમંત્રીએ શ્રદ્વાજંલિ આપી હતી.
ઉલ્લેખનીય છે કે શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો હતો. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા હતા. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. ત્યારે સમી સાંજે અચાનક પુલ તૂટ્યો હતો અને પ્રવાસીઓ પુલ સાથે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ લોકો દોડી આવ્યા હતા અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 136 લોકોના મોત થયા છે.