@ વિશ્વાસ ભોજાણી , ગોંડલ , મંતવ્ય ન્યુઝ.
ગોંડલ ખીમોરી તળાવ પાસે અવાવરું જગ્યામાં પડેલા અશક્ત વૃદ્ધાની મદદે નગરસેવક દોડી ગયા
બે દિવસથી ભૂખ્યા તરસ્યા અને વરસાદ થી તરબતર થયેલા વૃદ્ધા ને પ્રાથમિક સારવાર આપી વૃદ્ધાશ્રમમાં પનાહ દેવડાવી પરિવાર ની શોધ શરૂ કરી.
ગોંડલ નેશનલ હાઈવે ગુંદાળા ચોકડી થી થોડે દુર આવેલ ખીમોરી તળાવના અવાવરૂ વિસ્તારમાં બે દિવસથી ભૂખ્યા તરસ્યા અને વરસાદ થી પલળેલા અશક્ત વૃદ્ધા ની વહારે નગરસેવક એ દોડી જઇ સરાહનીય સેવા બજાવી હતી.
ગોંડલ શહેર પંથકમાં “સન્ડે સ્લેમ ડે” અને “મદદ નો ચોરો” જેવા કાર્યક્રમો થકી લોકોની સેવા કરતા નગરપાલિકાના સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા ને શિક્ષક એલ એન ભરાઈ અને ગૌરાંગભાઈ ત્રિવેદી દ્વારા ખીમોરી તળાવના અવાવરૂ વિસ્તારમાં બે દિવસથી ભૂખ્યા તરસ્યા હાલતમાં એક વૃદ્ધા પડયા હોવાની જાણ કરાતા રાજેન્દ્રસિંહ જાડેજા પરભવનો વિલંબ કર્યા વગર તેમની સેવાભાવી ટીમના સદસ્યો સાથે દોડી ગયા હતા વૃદ્ધા પાસે બેસી સાંત્વના આપી ચા નાસ્તો કરાવી નગરપાલિકાની એમ્બ્યુલન્સ બોલાવી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાવી બાલાશ્રમ ખાતે પનાહ અપાવી સરાહનીય કાર્ય કર્યું હતું.
રાજેન્દ્રસિંહ જાડેજા એ વૃદ્ધાને સાંત્વના આપજ નામ સરનામું પૂછતાં વૃદ્ધાએ જણાવ્યું હતું કે તેઓ આટકોટ ના રહેવાસી છે તેમનું નામ સવિતાબેન સોલંકી છે (ઉંમર વર્ષ 80) છે અને સંતાનમાં લાલો તેમજ કિશન નામના બે દીકરા છે રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા તુરંત જ સમગ્ર ઘટનાની જાણ પોલીસ તંત્રને કરવામાં આવી હતી અને સાથોસાથ વૃદ્ધાનું વહેલામાં વહેલી તકે પરિવાર સાથે મિલન થાય તે માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.
આ તકે શિક્ષક મિત્રોએ રાજેન્દ્રસિંહ જાડેજા ને બિરદાવી જણાવ્યું હતું કે માઇક પકડીને જાહેર સભાઓમાં તો ઘણા રાજકીય નેતાઓને મોટી મોટી સેવા ની વાતો કરતા જોયા છે વાસ્તવમાં તમે એક મોબાઇલ ફોનની માહિતી ની 15 મિનિટની અંદર જ વૃદ્ધાની મદદે પહોંચી જઈ સાબિત કરી દીધું છે કે માનવતા હજી મરી પરવારી નથી.