મોરબી દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા આ મામલે સરકાર ભીંસમાં આવી ગઇ હતી અને આ ઘટનામાં તપાસના આદેશ અને સત્વરે આરોપીઓ સામે એકશન લેવાનું કહેવામાં આવ્યું હતું. મોરબી બ્રિજ અકસ્માતમાં મોટાપાયે જાનહાનિ થયા બાદ પકડાયેલા આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ પુરા થતા તેઓને ફરીથી કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. ક્રોસ વેરિફિકેશનની માગણી કરતાં પોલીસે આરોપીને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.જે.ખાનની કોર્ટમાં રજૂ કર્યો હતો અને વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ ચીફ જસ્ટિસે રિમાન્ડની અરજી ફગાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે આ તરફ આરોપીઓના વકીલ ડી પી શુક્લા દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, પોલીસ દ્વારા રિમાન્ડ માટે રજૂ કરવામાં આવેલા મુદ્દાઓ રિપીટ થાય છે અને પોલીસ જે જે પણ દસ્તાવેજો માગવા અને તપાસ માટેની વાત કરે છે તે સરકારી કચેરીમાંથી મેળવવાના છે તેના માટે અમારા અસીલની હાજરી હોવી જરૂરી નથી. રિમાન્ડની માગણી બિન જરુરી છે બંને પક્ષની દલીલ આધારે ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ એમ જે ખાન દ્વારા રિમાન્ડની અરજી ફગાવી દેવાઈ હતી. આ સાથે જ આ કેસના પકડાયેલા તમામ આરોપીઓની જ્યુડિશિયલ કસ્ટડી સોંપવામાં આવી હતી.